જામનગર શહેરમાં તા.1 થી 11 સપ્ટેમ્બર 11 દિવસ માટે શ્રાવણી મેળો પ્રદર્શન ગ્રાઉન્ડ ખાતે આયોજન કરવા સ્ટે.કમીટી દ્વારા મંજુર કરાયુ છે. ગઇકાલે યોજાયેલી સ્ટે.કમીટીની બેઠકમાં કુલ 3 કરોડના કામોને બહાલી અપાઇ હતી.
જામનગર મહાનગરપાલિકાની સ્ટે.કમીટીની બેઠક ગઇકાલે ચેરમેન ધીરેનભાઇ મોનાણીના અઘ્યક્ષસ્થાને યોજાઇ હતી. જેમાં આગામી સમયમાં આવી રહેલ શ્રાવણ મહિનાને અનુલક્ષીને શ્રાવણી મેળો 2026 પ્રદર્શન ગ્રાઉન્ડમાં શ્રાવણ વદ પાંચમથી અમાસ તા.1/9/2026 થી તા.11/9/2026 એમ કુલ 11 દિવસ માટે આયોજન કરવા મંજુર કરાયું છે. ઉલ્લેખનીય છે કે હાલ એસ.ટી. બસ સ્ટેશનનું નવનિર્માણ ચાલી રહ્યું હોય હાલમાં પ્રદર્શન ગ્રાઉન્ડ ખાતે હંગામી બસ સ્ટેન્ડ કાર્યરત છે. ત્યારે પ્રદર્શન ગ્રાઉન્ડમાં શ્રાવણી મેળો અને બસ સ્ટેન્ડની ભારે ભીડ થાય છે. ગત વર્ષની જેમ આ વર્ષે પણ અહિં બન્ને વ્યવસ્થા ભેગી હોવાથી તંત્રને પુરતો પ્લાન કરવો પડશે. શ્રાવણી મેળાને લઇ આગામી દિવસોમાં વિવિધ રાઇટસ અને ફલોટની ટ્રેન્ડરીંગ પ્રક્રિયા સહિતની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.
આ ઉપરાંત શહેરના રોડના પોટહોલને કોલ્ડ ઇમલશન ઇન્જેકશન પોટહોલ પેચીંગ મશીન મીકેનીકલ મેથડથી રીપેર કરવાનું કામ વર્ષ 2025-26 અંગે રૂા.1.21 કરોડ મંજુર કરાયા છે. આ ઉપરાંત પશુ નિયંત્રણ અને અંકુશ વિભાગ માટે જગ્યાનું મહેકમ મંજુર કરવાની દરખાસ્ત ભલામણ સાથે જનરલ બોર્ડમાં મુકવાનું મંજુર કરાયું હતું.
સ્ટે.કમીટી દ્વારા વરસાદી સિઝનને ઘ્યાને લઇ વોટર રેસ્કયુ બોટ, રેસ્કયુ રાફટ, હેવીડયુટી ઇન્ફલાટેબલ ટેન્ટ વીથ બ્લોવર સહિતના વિવિધ 33 જેટલા સાધનોની ખરીદી માટે રૂા. 2.09 કરોડનો ખર્ચ મંજુર કરાયો છે.


