જામનગર-ખંભાળિયા હાઇવે પર વસઇ ગામ નજીક ચોકલેટના કારખાનાના સામેથી રસ્તો ક્રોસ કરતી બાળકીને પુરપાટ અને બેફિકરાઇથી આવી રહેલી ઇનોવા કારના ચાલકે ઠોકરે ચઢાવતાં બાળકીનું સારવાર દરમ્યાન મોત નિપજયાની ઘટનામાં પોલીસે ઇનોવા ચાલક સામે ગુનો નોંધી તપાસ આરંભી હતી.
હિટ એન્ડ રનના બનાવની વિગત મુજબ મધ્યપ્રદેશના ધાર જિલ્લાના નરવાલી પોસ્ટના ગામ જાઇના વતની અને હાલ જામનગર તાલુકાના વસઇ ગામની સીમમાં આવેલા જશુભા સુરાજી જાડેજાના ખેતરમાં મજૂરીકામ કરતાં અનિલભાઇ ગુમાનભાઇ મકવાણા (ઉ.વ.35) નામના શ્રમિક યુવાનની પુત્રી રાધાબેન મકવાણા (ઉ.વ.13) નામની બાળકી ગત્ તા. 30 જૂનના રોજ સાંજના સાડા ચાર વાગ્યાના અરસામાં ચોકલેટના કારખાના બાજુ રસ્તો ઓળંગીને જતી હતી તે દરમ્યાન પુરપાટ અને બેફિકરાઇથી આવી રહેલી જીજે37 એબી 1648 નંબરની ઇનોવા કારના ચાલકે રાધાને હડફેટ લઇ ઢોકરે ચઢાવતાં અકસ્માતમાં શરીરે અને માથામાં ગંભીર ઇજા પહોંચી હતી. ત્યારબાદ રાધાને સારવાર માટે જી. જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. જ્યાં તેણીનું ગઇકાલે તા. 13ના રોજ સારવાર દરમ્યાન મોત નિપજયાનું ફરજ પરના તબીબોએ જાહેર કર્યું હતું.
આ બનાવ અંગે મૃતકના પિતા અનિલભાઇ દ્વારા જાણ કરાતા હે.કો. એન. એલ. કાગડિયા તથા સ્ટાફએ હોસ્પિટલ પહોંચી જઇ બાળકીના મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ માટે મોકલી ઇનોવા કારચાલક વિરૂદ્ધ ગુનો નોંધી વધુ તપાસ આદરી હતી.


