જામનગરમાં રંગમતી-નાગમતી નદીની તાત્કાલીક સફાઇ કરી પ્રિ-મોન્સૂન કામગીરી પૂર્ણ કરવાની માંગણી સાથે જામનગર શહેર જિલ્લા કોંગ્રેસ દ્વારા સ્ટે.કમિટી ચેરમેનને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું.

જામનગર કોંગ્રેસ દ્વારા રંગમતી-નાગમતી નદીની સફાઇ કરવાની માંગણી સાથે કોંગ્રેસ દ્વારા જામનગર મહાનગરપાલિકા કચેરીમાં સ્ટ.કમીટી હોલ બહાર વિરોધ પ્રદર્શન કર્યુ હતું. અને સ્ટ.કમીટી ચેરમેનને આવેદનપત્ર પાઠવ્યું હતું. આવેદનપત્રમાં જણાવ્યું છે કે જામનગર મહાનગરપાલિકાના સંબંધીત અધિકારીઓ જવાબદાર એજન્સીઓ તથા કોન્ટ્રાકટરો દ્વારા શહેર કોંગ્રેસ સમિતિના પ્રતિનિધિઓ સાથે રંગમતી નદી, નાગમતી નદી અને શહેરની વિવિધ કેનાલોની સ્થળ મુલાકાત કરવા માંગણી કરાઇ છે. વધુમાં જણાવ્યું છે કે પ્રિ-મોન્સૂન કામગીરી મોટા ભાગે માત્ર કાગળ પર જ દર્શાવવામાં આવી છે. વાસ્તવીક સ્થળ પર નદીઓ અને કેનાલોમાં ગંદકી, કચરો અને કાપ યથાવત જોવા મળે છે જે દર્શાવવામાં આવેલ કામગીરી અને વાસ્તવીક સ્થિતિ વચ્ચે તફાવત દર્શાવે છે.
View this post on Instagram
આથી જો જામનગર મહાનગરપાલિકા કામગીરી પૂર્ણ થયાનો દાવો કરે છે તો અધિકારીઓ સ્થળ નિરીક્ષણ કરી કામગીરી બતાવે અને જો કામગીરીમાં ગેરરિતી કે ભ્રષ્ટાચાર જણાય તો જવાબદાર અધિકારીઓ અને કોન્ટ્રાકટરો સામે કડક કાર્યવાહી કરવાની માંગણી કરવામાં આવી છે. જામનગર શહેર કોંગ્રેસ પ્રમુખ વિરેન્દ્રસિંહ જાડેજા, વોર્ડ નં.12ના કોર્પોરેટર સાહરાબેન મકવાણા, પૂર્વ વિપક્ષી નેતા ધવલ નંદા, કોંગ્રેસના આનંદ ગોહિલ, પૂર્વ કોર્પોરેટર રચનાબેન નંદાણીયા સહિતના દ્વારા આવેદનપત્ર પાઠવાયું હતું.


