જામનગરના બેડીમાં સોઢા ફળી વિસ્તારમાં રહેતાં પ્રૌઢનો દોહિત્ર મોહર્રમના ન્યાઝની પ્રસાદી લેતા હતા ત્યારે ધક્કામુક્કી થયાનું મનદુ:ખ રાખી સાત શખ્સોએ પ્રૌઢના પરિવાર ઉપર પથ્થરોના ઘા ઝિંકી ઇજા પહોંચાડી પરિવારને મારી નાખવાની ધમકી આપી હતી. સામાપક્ષે ચાર શખ્સોએ ઢીકાપાટુનો માર મારી મહિલાને ગાળો કાઢી પતાવી દેવાની વળતી ફરિયાદ નોંધી પોલીસે આગળની કાર્યવાહી આદરી હતી.

આ બનાવની વિગત મુજબ જામનગરના બેડી વિસ્તારમાં સોઢા ફળીમાં રહેતાં અનવરભાઇ સુલેમાનભાઇ સંઘાર (ઉ.વ.54) નામના પ્રૌઢનો દોહિત્ર ગઇકાલે સાંજે મોહર્રમ ન્યાઝની પ્રસાદી લેતો હતો. ત્યારે ધક્કામુક્કી થવાથી ઝરીનાબેનના દીકરો પડી જતાં એ બાબતનું મનદુ:ખ રાખી તન્વીર ગુલામ જેડા, ઝરીનાબેન ગુલામ રજાક જેડા, હુશેનાબેન ઓસમાણ જેડા, જુબીબેન રઝાક જેડા, સકીનાબેન અસગર જેડા, કાદર ઈસ્માઇલ ચૌહાણ, ગુલામ રઝાક જેડા સહિતના સાત શખ્સોએ એકસંપ કરી અનવરભાઇના પરિવારજનોને જેમ ફાવે તેમ ગાળો કાઢી ઢીકાપાટુનો માર મારી છુટ્ટા પથ્થરોના ઘા કર્યાં હતાં. આ હુમલામાં અનવરભાઇ તથા તેના દોહિત્ર સયાનને ઇજા પહોંચી હતી. તેમજ અનવરભાઇ અને તેના પરિવારને મારી નાખવાની ધમકી આપી હતી. આ બનાવમાં ઘવાયેલા લોકોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. અનવરભાઇ દ્વારા જાણ કરાતા પીઆઇ એ. વી. પીપરોત્તર તથા સ્ટાફએ સાત શખ્સો વિરૂદ્ધ ગુનો નોંધી તપાસ આરંભી હતી.
જ્યારે સામાપક્ષે ઝરીનાબેન જેડા દ્વારા નોંધાવાયેલી વળતી ફરિયાદમાં અનવાર સંઘાર, ફરીદાબેન અનવર સંઘાર, યાસ્મિનબેન, એઝાઝ અનવર સંઘાર નામના ચાર શખ્સોએ એકસંપ કરી ઝરીનાબેનને ગાળો કાઢી ઢીકાપાટુનો માર માર્યો હતો. તેમજ ઝરીનાબેનના વાળ પકડી પછાડી દઇ લાકડી વડે હુમલો કરી પતાવી દેવાની ધમકી આપ્યાની ફરિયાદ નોંધાવી હતી.
View this post on Instagram


