મીડલ ઇસ્ટના ઇરાન વિરૂઘ્ધ ઇઝરાયેેલ-અમેરિકા યુદ્ધની અસર સમગ્ર ભારતમાં ધીરે ધીરે પગપેસારો કરી રહી છે. હવે ગુજરાતમાં પણ જોવા મળી રહી છે. સુપ્રસિદ્ધ યાત્રાધામ દ્વારકામાં પેટ્રોલ અને ડીઝલની અસર વર્તાવા લાગી છે. વીકએન્ડમાં જગતમંદિરના દર્શને આવેલા યાત્રિકો ઇંધણની સમસ્યાથી હેરાન પરેશાન થયાં હતાં.

આ અંગેની વિગત મુજબ સુપ્રસિદ્ધ યાત્રાધામ દ્વારકામાં પેટ્રોલ અને ડીઝલની ભારે અછત સર્જાતા હાલાકીના દ્રશ્યો સામે આવ્યા છે. હાલમાં દ્વારકા શહેરના મુખ્ય બે પેટ્રોલ પંપ પર ઈંધણનો જથ્થો સંપૂર્ણપણે ખાલી થઈ ગયો હતો. શનિવાર અને રવિવારની રજાઓ હોવાના કારણે મોટી સંખ્યામાં યાત્રિકો ભગવાન દ્વારકાધીશના દર્શનાર્થે ઉમટી પડ્યા હતાં. પરંતુ ઈંધણ ખૂટી પડતા પ્રવાસીઓ ભારે મુશ્કેલીમાં મુકાયા હતાં.
આ અંગે પંપ સંચાલકોના જણાવ્યા અનુસાર, ઈંધણનો જથ્થો અત્યારે પૂર્ણ થઈ ગયો છે અને હવે આજે નવો જથ્થો આવ્યા બાદ જ પેટ્રોલ-ડીઝલ મળી શકશે. ત્યાં સુધી વાહનચાલકો અને પ્રવાસીઓએ રાહ જોવી પડશે અથવા અન્ય વિકલ્પો શોધવા પડશે.


