જામનગરના વાડીનાર દરિયાકાંઠે ‘નંદાદેવી’ નામનું એલપીજી કેરિયર જહાજ સફળતાપૂર્વક પહોંચી ગયું છે. આ જહાજ હોર્મુઝ સ્ટ્રેટ પાર કરીને ગુજરાત સુધી પહોંચ્યું છે, જે હાલની પરિસ્થિતિમાં મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યું છે. આ જહાજમાં અંદાજિત 45થી 46 હજાર મેટ્રિક ટન એલપીજી ગેસનો જથ્થો લાવવામાં આવ્યો છે. શરૂઆતમાં આ જહાજને કંડલા પોર્ટ પર જવાનું હતું, પરંતુ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને તેને વાડીનાર બંદર તરફ વાળવામાં આવ્યું છે.

માહિતી મુજબ, વાડીનારથી આશરે 10-11 નોટિકલ માઈલ દૂર જહાજને અનલોડિંગ પ્રક્રિયા હાથ ધરવામાં આવશે.તે ઉપરાંત, બે દિવસમાં આવા બે મોટા એલપીજી કેરિયર જહાજો ભારતમાં પહોંચી ચૂક્યા છે, જે મળીને આશરે 92થી 93 હજાર મેટ્રિક ટન ગેસ લાવી રહ્યા છે. આ જથ્થો દેશના લાખો ઘરેલુ ગેસ સિલિન્ડરો માટે પૂરતો માનવામાં આવે છે. ગલ્ફ વિસ્તારમાં વધતા તણાવ વચ્ચે અટવાયેલા ભારતીય જહાજોને સુરક્ષિત રીતે બહાર કાઢવા માટે ભારત અને ઈરાન વચ્ચે થયેલા રાજદ્વારી પ્રયાસો મહત્વપૂર્ણ સાબિત થયા છે. આ સફળતા દેશની ઊર્જા સુરક્ષા માટે એક સકારાત્મક સંકેત તરીકે જોવામાં આવી રહી છે.
View this post on Instagram
આ સમગ્ર ઘટનાક્રમને કારણે જામનગર સહિત દેશભરમાં ગેસની અછતમાંથી જલ્દી રાહત મળવાની આશા વ્યક્ત કરવામાં આવી રહી છે.


