દેવભૂમિ દ્વારકામાં દ્વારકાધીશ મંદિરે ફૂલડોલ ઉત્સવમાં રાજ્યભરમાંથી હજારો શ્રદ્ધાળુઓ પદયાત્રા કરીને દ્વારકાધીશના દર્શનાર્થે આવે છે. દર વર્ષે યોજાતા ફૂલડોલ ઉત્સવમાં પદયાત્રા કરી આવતાં શ્રદ્ધાળુઓ પૈકીના અમુક શ્રદ્ધાળુઓના વાહન અકસ્માતમાં મોત નિપજવાની ઘટના બનતી હોય છે. ત્યારે આ વર્ષે પણ દ્વારકાધીશના દર્શનાર્થે જતાં શ્રદ્ધાળુઓ હજારોની સંખ્યામાં પદયાત્રા દ્વારા દ્વારકા આવી રહ્યાં છે. દરમ્યાન જામનગર નજીક એક પ્રૌઢા પદયાત્રીને વાહનએ હડફેટ લેતાં મોત નિપજયું હતું. તેમજ ખંભાળિયા પાસે પણ એક પ્રૌઢાને વાહનચાલકે ઠોકરે ચઢાવતાં મોત નિપજયાની ઘટના બની હતી.
ગઇકાલે રાત્રિના સમયે દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ તાલુકાના રૂપામોરા ગામ નજીક શ્રદ્ધાળુઓનો સંઘ પદયાત્રા કરી દ્વારકા જઇ રહ્યો હતો ત્યારે મોટા કાલાવડથી દ્વારકા તરફ જઇ રહેલા સંઘના ગોવિંદભાઇ સિસોટિયા નામના પદયાત્રીને પુરપાટ આવી રહેલા બાઇકએ ઠોકર મારતા ગંભીર ઇજાઓ પહોંચી હતી. ત્યારબાદ ઇજાગ્રસ્ત પદયાત્રીને સારવાર માટે ભાણવડની હોસ્પિટલમાં ત્યારબાદ જામનગરની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તેમનું સારવાર દરમ્યાન મોત નિપજયાનું ફરજ પરના તબીબોએ જાહેર કર્યું હતું. જેના આધારે ભાણવડ પોલીસે હોસ્પિટલ પહોંચી જઇ મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ માટે મોકલી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
View this post on Instagram


