રાજ્યપાલ આચાર્ય દેવવ્રત તા. 20 અને 21 ફેબ્રુઆરી, 2026ના રોજ જામનગર જિલ્લાના જોડિયા તાલુકાના ભાદરા ગામની મુલાકાતે પધારનાર છે. આ ’ગ્રામ કલ્યાણલક્ષી’ પ્રવાસ દરમિયાન તેઓ પ્રાકૃતિક ખેતી, ગ્રામીણ વિકાસ અને લોકસંપર્કના વિવિધ કાર્યક્રમોમાં સહભાગી થશે.
પ્રવાસના પ્રથમ દિવસે, 20 ફેબ્રુઆરીના રોજ ભાદરા સ્વામિનારાયણ મંદિર ખાતે સાંજે 04:00 કલાકથી ’સેવા સેતુ’ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. અહીં રાજ્યપાલ સેવા સેતુના લાભાર્થીઓને લાભોનું વિતરણ કરશે અને કૃષિ સખીઓ તેમજ ભાદરા તાલુકાના સરપંચો તથા ખેડૂતો સાથે પ્રાકૃતિક ખેતી અંગે સંવાદ કરશે. ત્યારબાદ તેઓ ઉપસ્થિત જનમેદનીને સંબોધિત કરશે.
ત્યારબાદ સાંજના સમયે રાજ્યપાલ ’એક પેડ માં કે નામ’ અભિયાન અંતર્ગત ભાદરા ગામમાં વૃક્ષારોપણ કરશે અને ગ્રામ પંચાયત પાસેના પરિસરમાં સ્વચ્છતા અભિયાનમાં જોડાશે અને ત્યારબાદ ગ્રામજનો સાથે ’ખાટલા પરિષદ’ યોજી રાત્રિ રોકાણ પણ ગામની પ્રાથમિક શાળામાં જ કરશે.
પ્રવાસના બીજા દિવસે, 21 ફેબ્રુઆરીના રોજ સવારે રાજ્યપાલ ભાદરા ગામ ખાતે પ્રાકૃતિક ખેતી ફાર્મની મુલાકાત લેશે, જ્યાં તેઓ કૃષિ પ્રવૃત્તિમાં જોડાશે તથા ખેડૂતો સાથે સીધો સંવાદ કરશે.


