જામનગર તાલુકાના દરેડ બાયપાસ પાસે બની રહેલી બિલ્ડીંગની સાઇટના પહેલાં માળે પાણી છાંટતા સમયે બેલેન્સ ગૂમાવી દેતાં નીચે પટકાયેલા ચોકીદારનું ગંભીર ઇજા પહોંચતા મોત નિપજયું હતું.
આ બનાવ અંગેની વિગત મુજબ દેવભૂમિ દ્વારકાના ભાણવડ તાલુકાના મેવાસા ગામનો વતની અને હાલ જામનગરમાં લાલપુર બાયપાસ પાસે નવી બની રહેલી બિલ્ડીંગમાં ચોકીદારી કરતાં કારાભાઇ આલાભાઇ સાદિયા (ઉ.વ.48) નામનો યુવાન શુક્રવારે સવારના સમયે બિલ્ડીંગમાં પ્રથમ માળે પાણીની નળી વડે પાણી છાંટતો હતો. તે દરમ્યાન નળી ખેંચાતા સ્લિપ થઇ જવાથી યુવાન પ્રથમ માળેથી નીચે પટકાયો હતો. જેથી શરીરે તથા માથામાં ગંભીર ઇજા પહોંચતા સારવાર માટે જી. જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં સારવાર દરમ્યાન તેનું મોત નિપજયાનું ફરજ પરના તબીબોએ જાહેર કર્યું હતું. આ અંગે મૃતકના પુત્ર નિલેશ દ્વારા કરાયેલી જાણના આધારે હે.કો. બી. વી. છૈયા તથા સ્ટાફએ હોસ્પિટલ પહોંચી જઇ મૃતદેહનો કબ્જો સંભાળી પોસ્ટમોર્ટમ માટે મોકલી આગળની તજવીજ આદરી હતી.


