ધ્રોલ તાલુકાના કાતડા ગામની સીમમાં આવેલા ખેતરમાં મજુરી કામ કરતા પરીવારની સગીરા પુત્રીને રસોઇ બાબતે આપેલા ઠપકાનું મનમાં લાગી આવતા સગીરાએ ઝેરી દવા પી આપઘાત કર્યાના બનાવમાં પોલીસે મૃતદેહનો કબ્જો સંભાળી આગળની તપાસ હાથ ધરી હતી.
બનાવની વિગત મુજબ દાહોદ જિલ્લાના ધાનપુર તાલુકાના ઘોડી ફળીયુ ભાણપુર ગામના વતની અને હાલ ધ્રોલ તાલુકાના કાતડા ગામની સીમમાં આવેલા પરસોતમભાઇ અકબરીના ખેતરમાં મજુરી કામ કરતા સુકરમભાઇ લીમજીભાઇ ગણાવા (ઉ.વ.36) નામના ખેતમજુર યુવાનની મોટી દિકરી ઉષાબેન ગણાવા (ઉ.વ.16) નામની સગીરાને રસોઇ બનાવવાનું કહ્યું હતું અને સગીરાને રસોઇ બનાવવામાં મોડુ થવાથી તેણીના પિતાએ આ બાબતે ઠપકો આપ્યો હતો. જે ઠપકાનું મનમાં લાગી આવતા ઉષાબેને ગત તા.27 નવેમ્બરના રોજ સાંજના સમયે તેના ખેતરે વાડીની ઓરડીમાં પડેલી ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કરતા પડધરીની ખાનગી હોસ્પિટલ અને ત્યારબાદ રાજકોટની ખાનગી તથા બાદમાં રાજકોટની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવતા જ્યાં સગીરાનું મોત નિપજ્યાંનું ફરજ પરના તબીબોએ જાહેર કર્યુ હતું. આ અંગે મૃતકના પિતા દ્વારા જાણ કરાતા હે.કો. ડી.પી. વઘોરા તથા સ્ટાફે હોસ્પિટલ પહોંચી જઇ મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ માટે મોકલી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.


