જામનગર શહેરમાં રાજ્યની સાથે સાથે કોરોના સંક્રમણ ચિંતાજનક રીતે વકરતું જાય છે. છેલ્લા 24 કલાક દરમ્યાન કરાયેલા કોવિડ પરિક્ષણમાં 5 દર્દીઓનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતાં કુલ પોઝિટિવ દર્દીઓની સંખ્યા 134 સુધી પહોંચી ગઇ છે.
દેશભરમાં કોરોના સંક્રમણ ચિંતાજનક રીત વધતું જાય છે. દેશની સાથે સાથે ગુજરાતમાં પણ કોરોના સંક્રમણ વકરી રહ્યું છે. વૈશ્વિક મહામારી એવો કોરોના બાળકોથી લઇ વૃદ્ધો સુધીના લોકોને સંક્રમીત કરી રહ્યો છે. આ કોરોના સંક્રમણમાં અત્યાર સુધીમાં દેશમાં અડધો ડઝનથી વધુ દર્દીઓના ભોગ લેવાયા છે. ગુજરાત રાજ્યમાં પણ કોરોનાથી મહિલાઓના મોત નિપજયાની ઘટનાઓ બની ગઇ છે. રાજ્યની સાથે સાથે જામનગર શહેરમાં કોરોનાનું સંક્રમણ સતત વકરતું જાય છે. તેની સામે ગ્રામ્ય વિસ્તારમાં કોરોના સંક્રમણ નજીવું રહ્યું છે. જામનગર મહાનગરપાલિકાના વિસ્તારોમાં છેલ્લા 24 કલાક દરમ્યાન કરાયેલા કોરોના પરિક્ષણમાં પાંચ વ્યક્તિઓના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે. જેના કારણે શહેરમાં કુલ કોરોના પોઝિટિવ કેસની સંખ્યા 134 સુધી પહોંચી ગઇ છે. તેમજ ગઇકાલે 6 દર્દીઓની તબીયત સારી થઇ જતાં રજા આપવામાં આવી હતી. આમ, અત્યાર સુધીમાં કુલ 90 દર્દીઓને રજા આપવામાં આવી છે. હાલ હોમ આઇસોલેશનમાં 44 દર્દીઓને રાખવામાં આવ્યા છે.
જામનગર શહેરમાં છેલ્લા ચોવીસ કલાક દરમ્યાન નોંધાયલા પાંચ કોરોના પોઝિટિવ કેસમાં દિગ્જામ સર્કલ પાસેના વિસ્તારમાં રહેતા 49 વર્ષના યુવાન, રાંદલનગર વિસ્તારમાં રહેતો 20 વર્ષનો યુવક અને હીરજી મિસ્ત્રી રોડ પર રહેતી 46 વર્ષીય મહિલા તથા નાગેશ્વર વિસ્તારમાં રહેતા 68 વર્ષીય વૃદ્ધા તથા રોયલ પુષ્પા પાર્ક ખાતે 29 વર્ષની મહિલાનો સમાવેશ થાય છે.


