જામનગર શહેરમાં ત્રણ દરવાજા વિસ્તારમાં ચાલીને જતા વૃદ્ધને બેફીકરાઇથી આવી રહેલા છકડા રીક્ષાના ચાલકે ઠોકર મારી હડફટે લેતા શરીરે અને માથામાં ગંભીર ઈજા પહોંચતા વૃદ્ધનું સારવાર દરમિયાન જી. જી. હોસ્પિટલમાં મોત નિપજ્યાનું તબીબોએ જાહેર કર્યુ હતું.
અકસ્માતના બનાવની વિગત મુજબ, જામનગર શહેરમાં નાગેશ્ર્વર કોલોની સિધ્ધનાથ મંદિર રોડ પરના વિસ્તારમાં રહેતો અને મજૂરી કામ કરતા નરશીભાઈ દોણાસીયા નામના યુવાનના પિતરાઇ નરેશભાઈ નાનજીભાઈ ઢાપા (ઉ.વ.60) નામના વૃદ્ધ ગત તા.22 ફેબ્રુઆરીના બપોરના સમયે ત્રણ દરવાજા પાસે ભારત રેસ્ટોરન્ટ નજીકના રોડ પરથી ચાલીને જતા હતા તે દરમિયાન બેફીકરાઈથી આવી રહેલા જીજે-10-વાય-4533 નંબરના છકડો રીક્ષાના ચાલક જીતેન્દ્ર રાઠોડે વૃદ્ધને હડફેટે લેતા અકસ્માતમાં શરીરે અને માથામાં ગંભીર ઈજા પહોંચી હતી. ત્યારબાદ ઈજાગ્રસ્ત વૃદ્ધને સારવાર માટે જી. જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં. જ્યાં તેમનું મંગળવારે સારવાર દરમિયાન મોત નિપજ્યાનું ફરજ પરના તબીબોએ જાહેર કર્યુ હતું. આ અંગે પીએસઆઈ વી.એન. ગઢવી તથા સ્ટાફે છકડાચાલક વિરૂધ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.


