કેરળના મલપ્પુરમ જિલ્લામાં રવિવારે એક મોટો અકસ્માત સર્જાયો હતો. ખરેખર મલપ્પુરમ જિલ્લાના તનુર પાસે એક બોટ પલટી જવાથી ઓછામાં ઓછા 21 લોકોના મોત થયા હતા. જેના પછી તરત જ બચાવ કાર્ય શરૂ કરવામાં આવ્યું હતું. મુખ્યમંત્રી પિનરાઈ વિજયન સરકારના મંત્રી વી અબ્દુલ રહેમાને કહ્યું કે મલપ્પુરમ જિલ્લામાં બોટ પલટી જવાથી મૃત્યુઆંક વધીને 21 થઈ ગયો છે.
આ બોટ પર 40થી વધુ લોકો સવાર હોવાના અહેવાલ છે. જોકે, બાદમાં મલપ્પુરમ એસપીનું પણ નિવેદન સામે આવ્યું હતું. જેમાં તેમણે જણાવ્યું કે મૃતકોની સંખ્યા વધીને 21 થઈ ગઈ છે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બોટ પલટી જવાની ઘટના પર શોક વ્યક્ત કર્યો હતો.
શોકગ્રસ્ત પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરતાં તેમણે સહાયની રકમની જાહેરાત કરી હતી. તેમણે કહ્યું કે પ્રધાનમંત્રી રાષ્ટ્રીય રાહત ફંડમાંથી મૃતકના નજીકના સંબંધીઓને 2-2 લાખ રૂપિયા આપવામાં આવશે. ઉલ્લેખનીય છે કે એક વીડિયો શેર કરતા અકસ્માતની જાણકારી અપાઈ હતી. હાલ બચાવ કામગીરી ચાલી રહી છે. અત્યાર સુધીમાં 21 લોકોના મોત થયા છે અને આ આંકડો વધી શકે છે. કેરળના સીએમ પી વિજયન આજે ઘટનાસ્થળની મુલાકાત લેશે. મુખ્યમંત્રી કાર્યાલયના જણાવ્યા અનુસાર, સોમવારે સત્તાવાર શોકનો દિવસ જાહેર કરવામાં આવ્યો છે તેમજ પીડિતોના સન્માનના તમામ સરકારી કાર્યક્રમો રદ કરવામાં આવ્યા છે. ઉપાધ્યક્ષ જગદીપ ધનખડે મલપ્પુરમ બોટ દુર્ઘટના પર શોક વ્યક્ત કર્યો છે. તેમણે કહ્યું કે બોટ પલટી જવાની ઘટનામાં જાન ગુમાવવાથી તેઓ ખૂબ જ દુ:ખી છે અને તેઓ શોકગ્રસ્ત પરિવારોની સાથે છે.