Saturday, April 27, 2024
Homeરાષ્ટ્રીયપેટ્રોલ-ડીઝલને GST માં સમાવવા રાજયોની ના

પેટ્રોલ-ડીઝલને GST માં સમાવવા રાજયોની ના

લખનૌમાં યોજાયેલી જીએસટી કાઉન્સિલની બેઠકમાં કેટલીક જીવનરક્ષક દવાઓને આપવામાં આવી મુકિત: સ્વીગી અને ઝોમેટોની ફુડ ડિલેવરી પર હવે લાગશે જીએસટી

- Advertisement -

નાણાંમંત્રી નિર્મલા સિતારમનની અધ્યક્ષતામાં મળેલી જીએસટી કાઉન્સિલની 45મી બેઠક પૂર્ણ થઈ છે. આ બેઠકમાં પેટ્રોલ તેમજ ડીઝલને જીએસટીના દાયરામાં લાવવાની અપેક્ષા હતી. નાણાં મંત્રીએ જણાવ્યું કે, જીએસટી કાઉન્સિલને લાગી રહ્યું છે કે તાજેતરમાં પેટ્રોલ-ડીઝલને જીએસટી હેઠળ લાવવાનો આ ઉચિત સમય નથી. મોટાભાગના રાજ્યો આ વિચાર સાથે સહમત થયા છે. પેટ્રોલ-ડીઝલના આભને આંબી રહલા ભાવને પગલે તેને જીએસટી માળખામાં સમાવવામાં આવશે તેવી અપેક્ષા હતી. જીએસટી કાઉન્સિલના નિર્ણયને પગલે હાલમાં પેટ્રોલ-ડીઝલના ભાવમાં કોઈ રાહત મળશે નહીં. સામાન્ય વર્ગને આનાથી મોટો ફટકો પડ્યો છે.

ઓઈલ માર્કેટિંગ કંપનીઓને ડીઝલમાં મિશ્રિત કરવા માટે બાયોડીઝલ ઉપર જીએસટી દર 12 ટકાથી ઘટાડીને 5 ટકા કરાયો છે. હવે ઓઈલ કંપનીઓ આ ફાયદો ગ્રાહકો સુધી લંબાવે છે કે કેમ તે જોવું રહેશે. પેટ્રોલ અને ડીઝલની કિંમતો રેકોર્ડ સ્તરે પહોંચી ગઈ છે. આનાથી સામાન્ય વર્ગના ખિસ્સા ઉપર ભારણ વધી ગયું છે. પેટ્રોલ-ડીઝલને જીએસટી દાયરામાં લાવવાનો કેરળ, મહારાષ્ટ્ર સહિતના કેટલાક રાજ્યોએ વિરોધ કર્યો હતો. કેરળના નાણાં મંત્રી કે એન બાલાગોપાલે જણાવ્યું કે, જો પેટ્રોલ-ડીઝલને જીએસટી હેઠળ લાવવામાં આવે છે તો રાજ્ય તેનો ભારે વિરોધ કરશે. આમ કરવાથી રાજ્યની આવક પર નોંધપાત્ર પ્રતિકૂળ અસર પડશે. મહારાષ્ટ્રએ પણ આ પ્રસ્તાવના વિરોધની જાહેરાત કરી છે.

મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી અજીત પાવર જેઓ નાણાં વિભાગ પણ સંભાળે છે તેમણે જણાવ્યું કે, પ્રવર્તમાન કર વ્યવસ્થાને એવા રાજ્યોની નાણાકીય સ્વાયત્તા જાળવી રાખવા ના બદલવા જોઈએ જે પહેલેથી કોવિડ 19 મહામારીને લીધે આર્થિક સંકટમાં છે. કેન્દ્ર સરકારે ઈંધણ ઉપરની એક્સાઈઝ ડ્યુટીને ઘટાડવી જોઈએ તેમ પવારે જણાવ્યું હતું.

નાણાં મંત્રી નિર્મલા સિતારમને જણાવ્યું કે કોરોનાની સારવારમાં મદદરૂપ થતી દવાઓ ઉપર જીએસટી છૂટ યથાવત રહેશે. 31 ડિસેમ્બર 2021 સુધી આ છૂટ મળશે. આ ઉપરાંત જીવનરક્ષક દવાઓ ઉપર પણ જીએસટી છૂટનો નિર્ણય કરવામાં આવ્યો છે. જોલ્ગેન્સ્મા અને વિલ્ટેપ્સો દવાઓ ઉપર જીએસટી છૂટ આપવામાં આવી છે. આ બન્ને દવાઓની કિંમત અંદાજે રૂ. 16 કરોડ છે. જીએસટી કાઉન્સિલે આ બન્ને દવાઓને જીએસટીમાંથી છૂટ આપવાનો નિર્ણય કર્યો છે. મેડિકલ સાધનો ઉપર જીએસટી છૂટ નથી આપવામાં આવી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular