Friday, December 5, 2025
Homeરાજ્યજામનગરજામનગર સહિત હાલાર પંથકમાં કમોસમી વરસાદથી ખેડૂતો ચિંતીત

જામનગર સહિત હાલાર પંથકમાં કમોસમી વરસાદથી ખેડૂતો ચિંતીત

જામનગર જિલ્લામાં અડધાથી બે ઇંચ સુધી વરસાદ : ખંભાળિયામાં પણ બે ઇંચ પાણી વરસી ગયું : દ્વારકા જિલ્લાના અનેક ગામોમાં માવઠા અને વાદળ છાયા વાતાવરણથી ઠંડક ભર્યો માહોલ

જામનગર શહેર જિલ્લામાં કમોસમી વરસાદથી ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે જામનગર જિલ્લામાં છેલ્લા 24 કલાક દરમિયાન અડધાથી બે ઇંચ સુધી પાણી વરસી જતાં જગતનો તાત ચિંતીત બન્યો છે. કમોસમી વરસાદને પરીણામે શિયાળાના પગરવ સમયે શહેરીજનો ચોમાસાનો સામનો કરી રહ્યા હોય તેવો માહોલ સર્જાયો છે. દેવભૂમિ દ્વારકા જિલ્લામાં છેલ્લા બે દિવસથી બદલાયેલા વાતાવરણ વચ્ચે ગઈકાલે સોમવારે ખંભાળિયા પંથકમાં ઠેર-ઠેર કમોસમી માવઠું વરસ્યું હતું. આ ઉપરાંત કલ્યાણપુર અને ભાણવડના ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદ વરસતા ખાસ કરીને ધરતીપુત્રો મુશ્કેલીમાં મુકાઈ ગયા છે.

- Advertisement -

અરબ સાગરમાં સર્જાયેલી સિસ્ટમને કારણે ગુજરાતમાં શિયાળાની શરૂઆત પૂર્વે ચોમાસા જેવો માહોલ સર્જાયો છે. રાજ્યના અનેક તાલુકાઓમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઇ છે. ચોમાસાએ વિદાય લીધા બાદ રહી રહીને માવઠુ વરસતા ખેડૂતોના હાલ-બેહાલ થયા છે. જામનગર શહેર જિલ્લામાં પણ ગઇકાલે વાતાવરણમાં પલટો આવ્યો હતો. હવામાન વિભાગની આગાહી અનુસાર જામનગરમાં પણ ગઇકાલે બપોરે વાદળો છવાયા હતાં. અને વરસાદ શરૂ થયો હતો. આજે સવારે પુરા થતાં 24 કલાક દરમિયાન જોડિયા તાલુકામાં 2 ઇંચ વરસાદ વરસી ગયો હતો. કાલાવડ તાલુકામાં પોણા બે ઇંચ (42 મી.મી.), લાલપુરમાં પોણા બે ઇંચ (42 મી.મી.), ધ્રોલ તાલુકામાં 1 ઇંચ (22 મી.મી.), જામજોધપુર તાલુકામાં અડધો ઇંચ (15 મી.મી.), જામનગર તાલુકામાં અડધો ઇંચ (11 મી.મી.) વરસાદ વરસ્યો હતો. કમોસમી વરસાદને પરીણામે ખેડૂતોના મગફળી અને કપાસ સહિતના પાકોને વ્યાપક નુકશાનીની ભીતી દર્શાવાઇ રહી છે. મગફળીના લગભગ તૈયાર થયેલા પાકને માવઠાનો માર પડતા જગતનો તાત ચિંતાતુર બન્યો છે. વરસાદને કારણે ખેડૂતોને મગફળી કાઢવાની કામગીરી પણ બંધ કરવી પડી છે.

- Advertisement -

જામનગર શહેરમાં આજે પણ સવારથી વાદળછાયુ વાતાવરણ જોવા મળ્યું હતું. વરસાદી વાતાવરણ અને ઠંડા પવનનો શહેરીજનોએ અહેસાસ કર્યો હતો.

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં છેલ્લા બે દિવસથી બદલાયેલા વાતાવરણ વચ્ચે ગઈકાલે સોમવારે ખંભાળિયા પંથકમાં ઠેર-ઠેર કમોસમી માવઠું વરસ્યું હતું. આ ઉપરાંત કલ્યાણપુર અને ભાણવડના ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદ વરસતા ખાસ કરીને ધરતીપુત્રો મુશ્કેલીમાં મુકાઈ ગયા છે.

- Advertisement -

ખંભાળિયા પંથકમાં ગઈકાલે સોમવારે સવારથી વાતાવરણમાં નોંધપાત્ર પલટો આવ્યો હતો અને વાદળછાયું વાતાવરણ સર્જાયું હતું. આ વચ્ચે બપોરે આશરે સાડા ત્રણેક વાગ્યે ધીમીધારે વરસાદ વરસ્યો હતો. જેનાથી સરકારી ચોપડે ચાર મી.મી. વરસાદ નોંધાયો હતો. આ પછી ગતરાત્રિના આશરે એકાદ વાગ્યાથી ધોધમાર વરસાદ વરસી જતા બે કલાક જેટલા સમય ગાળામાં વધુ પોણા બે ઈંચ સહિત કુલ બે ઈંચ (49 મી.મી.) પાણી વરસી જવા પામ્યું હતું.

ખંભાળિયા ઉપરાંત નજીકના કેશોદ, વિંઝલપર, માંઝા વિગેરે ગામોમાં આ માવઠાથી ખેડૂતોએ તૈયાર થયેલા અને ખેતરમાં રાખેલા મગફળીના પાક પર વરસાદ વરસતા આ પાક પલળી જવા પામ્યો હતો. જેના કારણે ખેડૂતોને વ્યાપક નુકસાની થવાની દહેશત પણ વ્યક્ત કરવામાં આવી છે.

ખંભાળિયામાં વરસાદના પગલે માર્ગો કીચડથી ખરડાઈ ગયા હતા અને વાહનચાલકોને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. માવઠાના પગલે વાતાવરણમાં ઠંડક પ્રસરી જવા પામી હતી. આ ઉપરાંત કલ્યાણપુર અને તાલુકાના પટેલકા, ભોગાત, નાવદ્રા, સહિતના ગામોમાં પણ ગઈકાલના એક ઈંચ (22 મી.મી.) જેટલા વરસાદથી આ માવઠાના કારણે તૈયાર થયેલા પાક પલળી જતા ખેડૂતોના મોઢે આવેલો પાકનો કોળિયો છીનવાઈ ગયો હોવાનું ચિત્ર જોવા મળ્યું હતું.

દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ તાલુકામાં પણ ગતરાત્રે અડધો ઈંચ (13 મી.મી.) અને દ્વારકામાં પણ આજે ચઢતા પહોરે 6 મી.મી. વરસાદ નોંધાયો છે.

આમ, ખંભાળિયા તથા કલ્યાણપુર અને ભાણવડના કેટલાક ગામડાઓમાં આ કમોસમી માવઠાથી નગરજનો, ગ્રામજનો અને ધરતીપુત્રોએ હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. અને જનજીવન પ્રભાવિત બન્યું હતું. આજે સવારે 8 વાગ્યા સુધીમાં કલ્યાણપુર તાલુકામાં 50 ઈંચ (1244 મી.મી.), દ્વારકા તાલુકામાં 40 ઈંચ (992 મી.મી.), ભાણવડ તાલુકામાં 34 ઈંચ (855 મી.મી.) અને ખંભાળિયા તાલુકામાં 28 ઈંચ (695 મી.મી.) જિલ્લામાં મોસમનો કુલ સરેરાશ વરસાદ 38 ઈંચ (947 મી.મી.) નોંધાયો છે. આજે સવારે પણ ખંભાળિયા સહિતના વિસ્તારોમાં હળવા વરસાદી ઝાપટા વચ્ચે વાદળછાયુ વાતાવરણ રહ્યું હતું અને ઠંડકભર્યા માહોલ વચ્ચે વધુ વરસાદની સંભાવનાઓ પણ વ્યક્ત કરવામાં આવી રહી છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular