જામનગર જિલ્લામાં માત્ર 29 ટકા વરસાદ નોંધાયો હોય જામનગર જિલ્લાને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવા અને સૌની યોજનાથી જિલ્લાના તમામ ડેમો ભરવાની માંગણી સાથે જામનગર જિલ્લા કોંગ્રેસ દ્વારા કલેકટર મારફત મુખ્યમંત્રીને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું.
આવેદનપત્રમાં જણાવાયું છે કે અડધુ ચોમાસુ વિતી જવા છતાં હજુ સુધી જામનગર જિલ્લામાં માત્ર 29 ટકા વરસાદ નોંધાયો છે એટલે કે 71 ટકા વરસાદની ઘટ છે. 71 ટકા વરસાદની ઘટ હોય અને જિલ્લાના ડેમો સૌની યોજનાથી ભરવામાં ન આવે તો આ યોજનાને શોભાના ગાઠીયા સમાન ગણાવી છે. વધુમાં જણાવ્યુ છે કે જ્યારે જિલ્લામાં 29 ટકા વરસાદ જ નોંધાયો હોય તેમાં પણ એક ઇંચ એક સાથે કયારેય વરસાદ નોંધાયો નથી આવા સંજોગોમાં ગુજરાત સરકાર દ્વારા વર્ષ 2020-21 અને વર્ષ 2021-22 માટે જે મુખ્યમંત્રી કિસાન સહાય યોજના બનાવવામાં આવી હતી તેમાં દુષ્કાળ, અતિવૃષ્ટિ, કમોસમી વરસાદની જે વ્યાખ્યા કરવામાં આવી છે તે મુજબ સતત ચાર અઠવાડીયા વરસાદ ન પડે એ વિસ્તારને દુષ્કાળગ્રસ્ત વિસ્તાર ગણવામાં આવે અને વર્ષ 2016ના કેન્દ્ર સરકારના દુષ્કાળગ્રસ્ત મેન્યુઅલ મુજબ જે વિસ્તારોમાં 60 ટકાથી વધારે વરસાદની ઘટ હોય એને અતિ ગંભીર પરિસ્થિતિ ગણવી તેવી જોગવાઇ કેન્દ્ર સરકારના દુષ્કાળગ્રસ્ત મેન્યુઅલ 2016માં બહુ સ્પષ્ટ છે.
View this post on Instagram
આથી જામનગર જિલ્લાને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવા, જિલ્લાના તમામ ડેમો સૌનીની યોજનાથી ભરવા, ખેડૂતોનું ચાલુ વર્ષનું પાક ધિરાણ માફ કરવા, જિલ્લામાં ઘાસચારા વિતરણ કેન્દ્ર ખોલવા, પાંજરાપોળ ખોલવા, ખેડૂતોનું ચાલુ વર્ષનું વીજબીલ માફ કરવા સહિતની માંગણીઓ કરવામાં આવી છે આ અંગે આઠ દિવસમાં કાર્યવાહી કરવામાં નહીં આવે તો ગાંધી ચિંઘ્યા માર્ગે આંદોલનની ચિમકી ઉચ્ચારી છે. જામનગર જિલ્લા કોંગ્રેસ પ્રમુખ મનોજભાઇ કથીરીયા સહિતના કોંગ્રેસના હોદેદારો, અગ્રણીઓ ઉપસ્થિત રહી આવેદનપત્ર પાઠવ્યું હતું.


