જામનગર જિલ્લામાં શાળા છોડી ગયેલા બાળકોને ફરી શિક્ષણ સાથે જોડવાના હેતુથી ‘સમરસ વિદ્યા સેતુ અભિયાન’નો પ્રારંભ કરવામાં આવ્યો છે. અભિયાન અંતર્ગત રાજ્યમંત્રી રિવાબા જાડેજાએ શાળા છોડી ગયેલા બાળકોના ઘરે જઈ વાલીઓ અને બાળકો સાથે રૂબરૂ મુલાકાત કરી હતી.
આ દરમિયાન તેમણે બાળકોને નિયમિત શાળાએ જવા પ્રેરણા આપી અને વાલીઓને પોતાના બાળકોનું શિક્ષણ અધૂરું ન રાખવા અપીલ કરી હતી. સાથે જ સરકાર દ્વારા શિક્ષણ માટે જરૂરી તમામ સુવિધાઓ અને સહાય ઉપલબ્ધ કરાવવામાં આવશે તેવી ખાતરી પણ આપી હતી.
View this post on Instagram
અભિયાનના ભાગરૂપે પ્રતિકાત્મક રીતે ચાર બાળકોને ફરી શાળામાં પ્રવેશ અપાવવામાં આવ્યો હતો. ધોરણ 8 બાદ અભ્યાસ છોડી ચૂકેલી એક દીકરીને સ્કૂલ બેગ, પુસ્તકો અને અન્ય શૈક્ષણિક સામગ્રી આપીને ધોરણ 9માં પુનઃ પ્રવેશ અપાવવામાં આવ્યો.
મીડિયા સાથે વાતચીત દરમિયાન રિવાબા જાડેજાએ જણાવ્યું હતું કે રાજ્યનું કોઈપણ બાળક શિક્ષણના મૂળભૂત અધિકારથી વંચિત ન રહે તે માટે સરકાર, શિક્ષણ વિભાગ, મહાનગરપાલિકા અને સ્થાનિક આગેવાનોના સંયુક્ત પ્રયાસોથી આ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. તેમણે આ અભિયાનને જનભાગીદારીનું અભિયાન બનાવવાની અપીલ કરતાં દરેક શાળા છોડેલા બાળકને ફરી શિક્ષણ સાથે જોડવા સમાજના તમામ વર્ગોને સહયોગ આપવા અનુરોધ કર્યો.
સાથે જ જીલ્લા કલેકટર પરિમલ પંડ્યા, મેયર મોનિકાબેન વ્યાસ, જીલ્લા શિક્ષણ અધિકારી વિપુલ મહેતા, અન્ય અધિકારીઓ, હોદેદારો, શિક્ષકો હાજર રહ્યા હતા.


