જામનગર જિલ્લામાં આજે બપોરે 12 વાગ્યા સુધીમાં વિવિધ જળાશય વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદ નોંધાયો છે. સિંચાઈ વિભાગ દ્વારા જાહેર કરાયેલી માહિતી મુજબ જિલ્લાના 25 મુખ્ય જળાશયોમાં કુલ 1,510.32 એમસીએફટી પાણીનો સંગ્રહ ઉપલબ્ધ છે, જે કુલ સંગ્રહ ક્ષમતાના 11.51 ટકા જેટલો થાય છે.
જિલ્લામાં સૌથી વધુ સંગ્રહ ધરાવતા જળાશયોમાં ઉમિયાસાગર ડેમ 54.69 ટકા, બાલંભડી ડેમ 41.26 ટકા, પન્ના ડેમ 40.17 ટકા, ઉંડ-4 ડેમ 38.79 ટકા અને રણજીત સાગર ડેમ 36.13 ટકા ભરાયેલા છે. જ્યારે ફુલઝર (ઊંઇ) ડેમ 33.50 ટકા ભરાયેલો છે.
જળાશયોમાં આવકની સ્થિતિ મુજબ ફુલઝર (ઊંઇ) ડેમમાં 356 ક્યુસેક, આજી-4 ડેમમાં 244.44 ક્યુસેક તથા ઉંડ-1 ડેમમાં 20 ક્યુસેક પાણીની આવક નોંધાઈ છે. હાલમાં જિલ્લાના કોઈપણ ડેમના દરવાજા ખોલવાની જરૂરિયાત ઊભી થઈ નથી અને તમામ ડેમના દરવાજા બંધ સ્થિતિમાં છે.
કલેક્ટર પી. બી. પંડયાના માર્ગદર્શન હેઠળ સિંચાઈ વિભાગ દ્વારા જળાશયોની સ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે અને વરસાદી પરિસ્થિતિને ધ્યાને લઈ જરૂરી તકેદારીના પગલાં લેવામાં આવી રહ્યા છે.
જિલ્લા કંટ્રોલરૂમના આંકડાઓ અનુસાર જામનગર જિલ્લામાં આજે સવારે 6 વાગ્યાથી બપોરે 12 વાગ્યા સુધી પડેલા વરસાદના આંકડાઓ જેમાં જિલ્લામાં સરેરાશ 24.17મીમી વરસાદ નોંધાયો છે. જેમાં જામનગર તાલુકામાં 28 મીમી, જોડિયા તાલુકામાં 32 મીમી, ધ્રોલ તાલુકામાં 40 મીમી, કાલાવડ તાલુકામાં 23 મીમી, લાલપુર તાલુકામાં 13 મીમી અને જામજોધપુર તાલુકામાં 9 મીમી વરસાદ નોંધાયો છે.
જામનગર જિલ્લામાં ચાલુ વર્ષે સરેરાશ 197.5 મીમી વરસાદ નોંધાયો છે. જે પૈકી સૌથી વધુ જામજોધપુર તાલુકામાં 289 મીમી વરસાદ અને સૌથી ઓછો જામનગર તાલુકામાં 144 મીમી વરસાદ નોંધાયો છે. આ સિવાય જોડિયા તાલુકામાં 204 મીમી, ધ્રોલ તાલુકામાં 198 મીમી, કાલાવડ તાલુકામાં 219 મીમી, લાલપુર તાલુકામાં 131 મીમી વરસાદ નોંધાયો છે.


