ગુજરાત પાસે ભારતભરમાં સૌથી લાંબો, આશરે 1600 કિલોમીટરનો સમૃદ્ધ દરિયાકાંઠો છે, જે માત્ર વેપાર માટે જ નહીં પરંતુ અદ્ભુત દરિયાઈ જીવસૃષ્ટિ માટે પણ જાણીતો છે. આ વિશાળ અરબી સમુદ્રના મોજાંઓ વચ્ચે ગુજરાતનું એક વિશેષ અને આકર્ષક નજરાણું એટલે ત્યાં વિહરતી ‘ડોલ્ફિન’. પોતાની સમજદારી, રમતિયાળ સ્વભાવ અને માનવીઓ સાથેના મૈત્રીપૂર્ણ વ્યવહાર માટે જાણીતી ડોલ્ફિન આજે ગુજરાતના દરિયાઈ પર્યટન (Marine Tourism) અને પર્યાવરણનું એક અનિવાર્ય અંગ બની ગઈ છે. કચ્છના અખાતથી લઈને દ્વારકા અને દીવ-દમણ સુધીના વિસ્તારોમાં ડોલ્ફિનની હાજરી એ વાતની સાબિતી છે કે ગુજરાતનું દરિયાઈ પર્યાવરણ કેટલું જીવંત છે.

વન્યજીવોના સંરક્ષણની સાથે સાથે સૌથી સુંદર અને આકર્ષક જળચર પ્રાણી ‘ડોલ્ફિન’ના સંવર્ધનમાં ગુજરાતે દેશભરમાં મહત્વનું યોગદાન આપ્યું છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ હાથ ધરાયેલા વિશેષ પ્રયાસોના પરિણામે વર્ષ-2025ની ગણતરી મુજબ ગુજરાતના 4,087 ચોરસ કિલોમીટરના દરિયાઈ વિસ્તારમાં અંદાજે 680થી વધુ ડોલ્ફિન નોંધાઈ છે. આ વિગતો આપતાં વન અને પર્યાવરણ મંત્રી અર્જુન મોઢવાડિયાએ જણાવ્યું હતું કે, જળચર તેમજ વન્યજીવ પ્રવાસન ક્ષેત્રે ગુજરાતે મોટી હરણફાળ ભરી છે.
• કુલ સંખ્યા: ગુજરાતના દરિયાઈ વિસ્તારમાં 680થી વધુ ડોલ્ફિન
બેસ્ટ પ્રવાસન સ્પોટ: સ્વચ્છ પાણીને કારણે દેવભૂમિ દ્વારકાના શિવરાજપુર અને પોશિત્રા દરિયાકાંઠે ડોલ્ફિન સરળતાથી જોઈ શકાય છે.
કાયદાકીય રક્ષણ: ડોલ્ફિન લુપ્ત થતી પ્રજાતિ હોવાથી તેનો શિકાર કરવો કે નુકસાન પહોંચાડવું એ બિન-જામિનપાત્ર ગુનો છે.
• રાષ્ટ્રીય ગૌરવ: ભારત સરકારે 5 ઓક્ટોબર 2009ના રોજ ડોલ્ફિનને દેશનું ‘રાષ્ટ્રીય જળચર પ્રાણી’ જાહેર કરેલું છે.
કચ્છનો અખાત: ડોલ્ફિનનું મુખ્ય ઘર
ડી ડી ના એક અહેવાલ મુજબ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના સીધા માર્ગદર્શન હેઠળ છેલ્લા 12 વર્ષમાં દરિયા કિનારે મેન્ગ્રોવ્ઝની સાથે જળચર પ્રાણીઓના વિકાસ માટે અનેક સંયુક્ત પ્રયાસો થયા છે. ભારતનો પ્રથમ દરિયાઈ રાષ્ટ્રીય ઉદ્યાન (Marine National Park) ડોલ્ફિનનું મુખ્ય આશ્રયસ્થાન બન્યો છે.
રાજ્યમાં ડોલ્ફિનનું ભૌગોલિક વિતરણ : મરીન નેશનલ પાર્ક (ઓખા થી નવલખી)ના 1384(ચો.કિ.મી.) દરિયાઈ વિસ્તારમાં ડોલ્ફિનની અંદાજિત સંખ્યા 498 (સૌથી વધુ), કચ્છ વર્તુળ (ઉત્તરી ભાગ) 1821ચો.કિ.મીમાં 16, ભાવનગર કિનારોના 494 ચો.કિ.મીમાં 10, મોરબી કિનારો 388 ચો.કિ.મીમાં 4 ડોલ્ફિનની અંદાજિત સંખ્યા જોવા મળે છે.
માછીમારોનું મોટું યોગદાન: મંત્રી અર્જૂન મોઢવાડિયાએ જણાવ્યું હતું કે, સમુદ્રી ઇકોસિસ્ટમમાં સંતુલન જાળવતી આ ડોલ્ફિનને બચાવવામાં કચ્છથી ભાવનગર સુધીના સ્થાનિક માછીમાર ભાઈઓનું યોગદાન પણ એટલું જ સરાહનીય રહ્યું છે.
ગુજરાતની ડોલ્ફિનની રોચક વિશેષતાઓ
ગુજરાતના દરિયામાં મુખ્યત્વે બે પ્રકારની ડોલ્ફિન જોવા મળે છે:
1. ઇન્ડો-પેસિફિક હમ્પબેક ડોલ્ફિન (અરબી સમુદ્રમાં વિશિષ્ટ ખૂંધ સાથે જોવા મળતી પ્રજાતિ) અને
2. બોટલનોઝ ડોલ્ફિન (જેનું મોઢું બોટલ આકારનું હોય છે).
• શ્વાસ લેવાની અનોખી રીત: માછલીઓની જેમ ડોલ્ફિનને ચૂઇ (Gills) હોતી નથી. તે સસ્તન પ્રાણી હોવાથી ફેફસાં દ્વારા શ્વાસ લે છે. આથી, તે દર થોડી મિનિટે પાણીની સપાટી પર માથું બહાર કાઢે છે, જે પ્રવાસીઓ માટે એક અદ્ભુત નજારો બની જાય છે.
• માનવમિત્ર અને જિજ્ઞાસુ સ્વભાવ: પોતાના બૌદ્ધિક અને મનોરંજક સ્વભાવ માટે જાણીતી ડોલ્ફિન ઘણીવાર દરિયાની લહેરોમાં કૂદકા મારીને (એક્રોબેટિક પ્રદર્શન) પ્રવાસીઓને રોમાંચિત કરે છે. તેમનો મુખ્ય ખોરાક માછલી, કરચલા અને ઝીંગા છે. હમ્પબેક ડોલ્ફિન સામાન્ય રીતે 2.5 થી 3.2 મીટર લાંબી અને 150થી 250 કિલો સુધીના વજનની હોય છે.
કચ્છથી ભાવનગર સુધીના દરિયાકાંઠે ‘માનવમિત્ર જળચર’ એવી ડોલ્ફિનને જોવી એ સ્થાનિક તેમજ દેશ-વિદેશના પ્રવાસીઓ માટે હવે એક નવું અને મુખ્ય આકર્ષણ કેન્દ્ર બની ગયું છે.


