મિયાત્રા ગામમાં જૂની અદાવતનો ખાર રાખી ચાર શખ્સોએ યુવાનને લોખંડા પાઇપ વડે હુમલો કરી ઇજાઓ પહોંચાડયાની પોલીસ ચોપડે ફરિયાદ નોંધાતા પોલીસ દ્વારા આ અંગે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
આ અંગેની વિગત મુજબ જામનગર નજીક મિયાત્રા ગામના વાડી વિસ્તારમાં વસતા પૃથ્વીરાજસિંહ નવલસિંહ જાડેજા નામના યુવાનને આરોપીની મિયાત્રા ગામના પાદરમાં પાન મસાલાની દુકાન આવેલી હોય તે દુકાનની બાજુમાં ફરિયાદી તથા તેમના પરિવારના સુરાપુરા દાદાની ડેરી આવેલી હોય તે ડેરીનું રિનોવેશન કરતાં હતાં. દરમ્યાન રિનોવેશન ન કરવા દેવા માટે મયૂરસિંહ જાડેજાએ ના પાડી હતી અને બોલાચાલી કરી હતી. જે બાબતનો ખાર રાખી તા. 10ના રાત્રિના સમયે મયૂરસિંહ ભૂપતસિંહ કેર જાડેજાએ ધારિયા જેવા હથિયારો વડે ફરિયાદીને પગમાં મારતાં ઇજા પહોંચી હતી તેમજ અન્ય આરોપી યુવરાજસિંહ કીરૂભા દેદાએ લોખંડના પાઇપ વડે તથા બે-ત્રણ અજાણ્યા શખ્સોએ ઢીકાપાટુનો માર મારી ગંભીર ઇજાઓ પહોંચાડી હતી.
આ બનાવ અંગે પૃથ્વીરાજસિંહ દ્વારા મયૂરસિંહ ભૂપતસિંહ કેર જાડેજા, યુવરાજસિંહ કીરૂભા દેદા અને બે-ત્રણ અજાણ્યા શખ્સો વિરૂદ્ધ માર મારી અપશબ્દો બોલી જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ફરિયાદ નોંધાવી હતી.


