જામનગર જિલ્લાના મેઘપર પોલીસ કસ્ટડીમાં રીમાન્ડ પર રહેલાં એનડીપીએસ એક્ટ હેઠળનો આરોપી પોલીસ જાપ્તામાંથી નાસી ગયા બાદ પોલીસે આ આરોપીને તેના વતન પંજાબમાંથી ઝડપી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
આ બનાવની વિગત મુજબ જામનગર જિલ્લાના મેઘપર પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી 418 ગ્રામ કેફી પદાર્થ સાથે ચાર શખ્સોની એસઓજીએ ધરપકડ કરી મેઘપર પોલીસને સોંપી આપ્યા હતા. ત્યારબાદ મેઘપર પોલીસે ચારેય આરોપીઓના રીમાન્ડ મેળવી પૂછપરછ હાથ ધરી હતી. દરમ્યાન પોલીસ જાપ્તાના કર્મચારીઓની નજર ચૂકવી વિશાલસિંઘ જશવીરસિંઘ ઉર્ફે જશવીરસિંઘ મટુ નામનો શખ્સ પલાયન થઇ ગયો હતો. ત્યારબાદ જિલ્લા પોલીસ દ્વારા નાકાબંધી કરી પોલીસ જાપ્તામાંથી નાશી ગયેલા આરોપીની શોધખોળ આરંભી હતી. પરંતુ કોઇ પત્તો લાગ્યો ન હતો. દરમ્યાન જામનગર જિલ્લા પોલીસ દ્વારા જુદી જુદી ટીમો બનાવી એલસીબી, એસઓજી, મેઘપર, પંચકોષી ‘બી’ ડિવિઝન સહિતના પોલીસ સ્ટાફ દ્વાર શોધખોળ હાથ ધરવામાં આવી હતી. દરમ્યાન આરોપી વિશાલસિંઘ પંજાબમાં તેના વતનમાં હોવાની ચોક્કસ બાતમી મળી હતી.
આ બાતમીના આધારે પીઆઇ વી. એચ. રાઠોડ, પીએસઆઇ એ. વી. ખેર, એસઓજી તથા હે.કો. લાખનસિંહ જાડેજા, પો.કો. જયેશભાઇ પઢેરિયા, જયદીપસિંહ જાડેજા સહિતની ટીમ પંજાબમાં જઇને વિશાલસિંઘ મટુ નામના પોલીસ જાપ્તામાંથી નાશી ગયેલા એનડીપીએસના આરોપીને દબોચી લઇ જામનગર જિલ્લાના મેઘપર પોલીસ સ્ટેશન ખાતે લઇ આવ્યા હતા.


