જામનગર તાલુકાના નાની લાખાણી ગામની ગોળાઇમાં પસાર થતાં બાઇકચાલક સ્લીપ થઇ જતાં બાઇકસવાર પ્રૌઢ દંપતિને ગંભીર ઇજા પહોંચી હતી. જેમાં પ્રૌઢનું મોત નિપજયાના બનાવમાં પોલીસે તપાસ હાથ ધરી છે.
આ બનાવની વિગત મુજબ જામનગર તાલુકાના રામપર ગામમાં વસવાટ કરતાં વશરામભાઇ દેવાભાઇ જાટિયા (ઉ.વ.59) નામના પ્રૌઢ ગત્ તા. 31 જાન્યુઆરીના રોજ સવારે નવ વાગ્યાના અરસામાં તેના પત્ની ખ્યાતિબેન સાથે બાઇક પર લાખાણી ગામ જતા હતા. તે દરમ્યાન નાની લાખાણી ગામની ગોળાઇ પરથી પસાર થતાં હતાં ત્યારે બાઇક સ્લીપ થઇ જતાં પ્રૌઢે કાબૂ ગૂમાવી દીધો હતો. આ અકસ્માતમાં પ્રૌઢ દંપતિ બાઇક પરથી રોડ પર પટકાતા દંપતિને ગંભીર ઇજા પહોંચી હતી. ત્યારબાદ પ્રૌઢ દંપતિને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં. જ્યાં સારવાર દરમ્યાન ગઇકાલે વશરામભાઇ નામના પ્રૌઢનું મોત નિપજયાનું ફરજ પરના તબીબોએ જાહેર કર્યું હતું. આ અંગેની મૃતકના પુત્ર હાર્દિકભાઇ દ્વારા જાણ કરાતા એએસઆઇ ડી. એ. રાઠોડ તથા સ્ટાફએ હોસ્પિટલ પહોંચી મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ સહિતની આગળની કાર્યવાહી હાથ ધરી હતી.


