ખંભાળિયામાં રહેતા 20 વર્ષીય એક યુવાન ઉપર છરી વડે હુમલો કરી અને તેનું માથું દીવાલમાં અથડાવવામાં આવતા આ યુવાનનું ગંભીર રીતે ઇજાગ્રસ્ત હાલતમાં સારવાર દરમિયાન મૃત્યુ નિપજ્યું હતું. આ પ્રકરણમાં ખંભાળિયા પોલીસે બે શખ્સોને દબોચી લીધા હતા.
આ સમગ્ર પ્રકરણની વિગત એવી છે કે, ખંભાળિયામાં રહેતા અમન અબ્દુલભાઈ નાયક નામના 20 વર્ષના યુવાન સાથે અગાઉ આસિફ હબીબ જુણેજા (રહે. ભરવાડ પાડો, ભરવાડ સમાજની વાડીની સામે, ખંભાળિયા) બોલ્યા ચાલે થઈ હતી અને આરોપી આશિક હબીબ અને તારીક હબીબ જુણેજા નામના બંને શખ્સોએ કાવતરું રચી અને અમન ઉપર છરી વડે જીવણ હુમલો કર્યો હતો.
આટલું જ નહીં, આરોપીઓએ અમનની આંખમાં છરી મારી તેનું માથું દીવાલમાં જોરથી અથડાવ્યું હતું. જેના કારણે તેમને ગંભીર ઈજાઓ થતા વધુ સારવાર અર્થે જામનગરની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન તેનું મૃત્યુ નિપજ્યું હતું. આ બનાવ અંગે ખંભાળિયા પોલીસે મૃતકના પિતા અબ્દુલભાઈ નાયકની ફરિયાદ પરથી આરોપીઓ સામે ગુનો નોંધ્યો હતો.
આ સમગ્ર પ્રકરણ સંદર્ભે અહીંના ડીવાયએસપી વી. પી. માનસેતાની સૂચના અને માર્ગદર્શન હેઠળ અહીંના પી.આઈ. બી.જે. સરવૈયા તેમજ એલ.સી.બી. પી.આઈ. કે.કે. ગોહિલની ટીમ દ્વારા આરોપીઓને ઝડપી લેવા માટે અલગ અલગ ટીમો બનાવી અને સીસી ટીવી ફૂટેજ તેમજ ટેકનિકલી એનાલિસિસ અને હ્યુમન સોર્સિસથી કરવામાં આવેલી તપાસ બાદ આરોપી આસિફ હબીબ (ઉ.વ. 21) અને તારીક હબીબ જુણેજા (ઉ.વ. 27) નામના બંને શખ્સોની અટકાયત કરી લેવામાં આવી હતી.
આ સમગ્ર કાર્યવાહી ડી.વાય.એસ.પી. વી.પી. માનસેતા, એલ.સી.બી. પી.આઈ. કે.કે. ગોહિલ, ખંભાળિયાના પી.આઈ. બી.જે. સરવૈયા, વી.એ. રાણા તેમજ એલ.સી.બી. એસ.ઓ.જી. અને ખંભાળિયા પોલીસ સ્ટાફની ટીમ દ્વારા કરવામાં આવી હતી.


