જામનગર મહાનગરપાલિકાની મિલકતવેરા શાખા દ્વારા બાકી મિલકત વેરા અંતર્ગત શહેરમાં સાત મિલકતો જપ્ત કરી દસ આસામીઓ પાસેથી રૂા. 4,48,006ની વસુલાત કરવામાં આવી હતી.
જામનગર મિલકત વેરા શાખા દ્વારા તા. 31-3-2023 સુધીના બાકી મિલકતવેરા ન ભરનાર મિલકત ધારકોને વોરંટ તથા અનુસૂચિની બજવણી કરી હોય, આમ છતાં મિલકત વેરો ન ભરનાર આસામીઓ વિરુધ્ધ કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. કમિશનરની સૂચના અનુસાર આસી. કમિશનર (ટેકસ)ના માર્ગદર્શન હેઠળ મિલકત વેરા શાખા દ્વારા વોર્ડવાઇસ રિક્વરી ટીમો દ્વારા સખત ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. જે અંતર્ગત તા. 3ના રોજ જામનગર શહેરના સાત આસામીઓ પાસેથી બાકી મિલકત વેરા અંર્તગત મિલકતોને જપ્ત કરવામાં આવી હતી. તેમજ 10 આસામીઓ પાસેથી સ્થળ ઉપર જ રૂા. 4,48,006ની વસુલાત કરવામાં આવી હતી.
આગામી દિવસોમાં જામ્યુકો દ્વારા વધુ કડક કાર્યવાહી કરવામાં આવનાર હોય, બાકી મિલકત વેરો તાત્કાલિક ભરપાઇ કરવા બાકીદાર આસામીઓને અનુરોધ કરવામાં આવ્યો છે.


