જામનગર શહેરના ગોકુલનગર વિસ્તારમાં રહેતી યુવતીને તેણીના ભાઇ સાથે પાંચ માસ પહેલાં થયેલી બોલાચાલી બાદ ગળેફાંસો ખાઇ આત્મહત્યા કર્યાના બનાવમાં પોલીસે તપાસ હાથ ધરી હતી. કાલાવડ તાલુકાના મોટી વાવડી ગામમાં રહેતી મહિલાનો પિતરાઇ દિયર કયાંક જતો રહેતાં લાગણીમાં તેણીના ઘરે રૂમમાં આવેલા પંખામાં ગળેફાંસો ખાઇ આત્મહત્યા કર્યાના બનાવમાં પોલીસે કારણ જાણવા સહિતની તપાસ હાથ ધરી હતી.
આ આત્મહત્યાના બનાવની મળતી વિગત મુજબ પ્રથમ બનાવ જામનગર શહેરના ગોકુલનગર વિસ્તારમાં રમેશ હાર્ડવેરવાળી શેરીમાં રહેતી હિનાબેન કેતનભાઇ ગોહિલ (ઉ.વ.20) નામની પાર્લરમાં કામ કરતી યુવતીને તેણીના ભાઇ સાથે પાંચ માસ અગાઉ બોલાચાલી થવાથી અલગ ભાડે રહેતી હતી. જ્યાં હિનાબેનએ ગઇકાલે સાંજના સમયે તેણીના ઘરે રૂમમાં આવેલ પંખામાં દુપટ્ટા વડે ગળેફાંસો ખાઇ આત્મહત્યા કર્યાની મૃતકની માતા મનિષાબેન દ્વારા જાણ કરાતા હે.કો. એચ. એ. પરમાર તથા સ્ટાફએ સ્થળ પર પહોંચી જઇ મૃતદેહનો કબ્જો સંભાળી પોસ્ટમોર્ટમ માટે મોકલી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
આત્મહત્યાના બીજા બનાવમાં કાલાવડ તાલુકાના મોટી વાવડી ગામના વતની અને હાલ જીવાપર રોડ પર રાધેશ્યામ પાર્કમાં રહેતી રૂપલબેન મહેશભાઇ ઉર્ફે રમેશભાઇ ખોડા (ઉ.વ.30) નામની ભરવાડ મહિલાનો પિતરાઇ દિયર કયાંક જતો રહ્યો હતો. આ બાબતનું લાગણીશિલતાના કારણે મનમાં લાગી આવતાં ગઇકાલે સાંજના સમયે તેના ઘરે રૂમના પંખામાં સાડી વડે ગળેફાંસો ખાઇ આત્મહત્યા કર્યાના બનાવની મૃતકના પતિ મહેશભાઇ દ્વારા જાણ કરાતા એએસઆઇ વી. ડી. ઝાપડિયા તથા સ્ટાફએ સ્થળ પર પહોંચી જઇ મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ માટે મોકલી આત્મહત્યાનું કારણ જાણવા સહિતની દિશામાં તપાસ હાથ ધરી હતી.


