સંસદના બજેટ સત્રમાં હવે અદાણી-લડાઈ તિવ્ર બની છે. ગઈકાલે કોંગ્રેસના વરિષ્ઠ નેતા રાહુલ ગાંધીએ રાષ્ટ્રપતિના ભાષણ પરના આભાર પ્રસ્તાવની ચર્ચાનો પ્રારંભ કરતા અદાણી અને મોદીના સંબંધોના મુદે પ્રશ્ર્નોની ઝડી વરસાવ્યા બાદ હવે વિપક્ષ અને શાસક એનડીએ વચ્ચેની યુદ્ધ રેખા રખાઈ ગઈ છે. એક તરફ ભાજપે હવે રાહુલ ગાંધી સામે તેમના જીજાજી રોબર્ટ વાડ્રા અને દેશ છોડી નાસી છુટેલા વિજય માલ્યા મુદે કોંગ્રેસ તથા ગાંધી પરિવાર સામે વધુ પ્રહારો કરશે તો ભાજપના સાંસદ નિશિકાંત દુબેએ રાહુલ ગાંધી સામે વિશેષાધિકાર પ્રસ્તાવ રજુ કરવાની જાહેરાત કરી છે અને આજે બપોરે 3.30 કલાકે વડાપ્રધાન નરેન્દ્ર મોદી રાષ્ટ્રપતિના પ્રવચન પરના અભ્યાસ પ્રસ્તાવનો જવાબ આપશે અને તેમાં વડાપ્રધાન કયો માર્ગ અપનાવે છે તેના પર સૌની નજર છે. ગઈકાલે રાહુલના ભાષણ બાદ કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાની તથા રવિશંકર પ્રસાદે રાહુલ ગાંધી અને ગાંધી કુટુંબ સામે પ્રશ્ર્નો ઉઠાવી આક્રમણનો પ્રારંભ કરી દીધો છે પણ હવે વડાપ્રધાનના જવાબ પર સૌની નજર છે.