ભારતીય સૈન્યએ ગુજરાતમાં વધી રહેલી પૂરની પરિસ્થિતિ સામે ઝડપથી પ્રતિક્રિયા આપીને, સધર્ન કમાન્ડના નેતૃત્વ હેઠળ, હાલમાં ચાલી રહેલી માનવતાવાદી સહાય અને આપદા રાહત (HADR) કામગીરીમાં નાગરિક પ્રશાસનને મદદ કરવા માટે એન્જિનિયર અને તબીબી ટીમો સહિત રાહત તેમજ બચાવ ટુકડીઓ તૈનાત કરી છે.
નવસારી, વલસાડ, સિલવાસા અને અમદાવાદના અસરગસ્ત વિસ્તારોમાં સૈન્યની ટીમો તૈનાત કરવામાં આવી છે, જ્યારે સુરત, વડોદરા અને અમદાવાદમાં વધારાની રાહત ટુકડીઓ તાત્કાલિક ધોરણે તૈનાત કરવા માટે તૈયાર રાખવામાં આવી છે, જેથી પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને રાહત કાર્ય હાથ ધરી શકાય. NDRF, SDRF, નાગરિક પ્રશાસન અને અન્ય પ્રતિભાવક એજન્સીઓ સાથે ગાઢ સંકલન સ્થાપિત કરીને રાહત કાર્ય હાથ ધરવામાં આવી રહ્યું છે.
View this post on Instagram
નવસારીના પૂરગ્રસ્ત વિસ્તારોમાં 23 જુલાઈના મોડી રાત્રે બચાવ કામગીરી શરૂ કરવામાં આવી હતી. સૈન્યની ટીમોએ અત્યાર સુધીમાં પૂરગસ્ત સ્થળોમાં ફસાયેલા 43 નાગરિકોને સુરક્ષિત રીતે બહાર કાઢ્યા છે. હાલમાં પણ કામગીરી ચાલુ છે અને તમામ નવી ઊભી થઈ રહેલી જરૂરિયાતોને પહોંચી વળવા માટે સૈન્ય દ્વારા ઉચ્ચ સ્તરની તૈયારી જાળવી રાખવામાં આવી છે.
ભારતીય સૈન્ય અસરગ્રસ્ત લોકોને સમયસર સહાય પૂરી પાડવા અને હાલમાં ચાલી રહેલી પૂરની પરિસ્થિતિ દરમિયાન જીવનની સુરક્ષા તેમજ રાહત પ્રયાસોને ટેકો આપવા માટે નાગરિક પ્રશાસન સાથે ગાઢ તાલમેલ સ્થાપીને કામ કરવા માટે પ્રતિબદ્ધ છે.


