જામનગર-ખંભાળિયા હાઈ-વે પર જીએસએફસી ટાઉનશીપ નજીક બાઈક પર જામનગર આવી રહેલા શ્રમિક યુવાનને પુરપાટ બેફીકરાઈથી આવી રહેલા ટેન્કરે બાઈકને હડફેટે લેતા ટ્રક ટેન્કરના ટાયર નીચે ચગદાઈ જતા બાઇકચાલકનું ઘટનાસ્થળે જ મોત નિપજયું હતું. જ્યારે તેમના પત્નીને ગંભીર ઈજા પહોંચી હતી.
આ બનાવની વિગત મુજબ, જામનગર શહેરના શંકરટેકરી વિસ્તારમાં સુભાષપરા ડાંગરવાડા શેરી નંબર નંબર-2 માં રહેતાં રાજેશભાઈ અરજણભાઈ ચાવડા (ઉ.વ.41) નામનો શ્રમિક યુવાન શુક્રવારના સાંજના 05:30 વાગ્યાના અરસામાં તેની પત્ની વનિતાબેન રાજેશભાઈ ચાવડા (ઉ.વ.40) સાથે જામનગર તરફ આવી રહ્યા હતાં તે દરમિયાન જીએસએફસી ટાઉનશીપ નજીક પહોંચ્યા ત્યારે પાછળથી પૂરપાટ બેફીકરાઇથી આવી રહેલા જીજે-12-બીઝેડ-6018 નંબરના ટ્રકચાલકે બાઈકને ઠોકર મારી હડફેટે લેતા બાઈક ચાલક રાજેશભાઈનું ટેન્કરના ટાયર નીચે ચગદાઈ જતા ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું. જ્યારે પાછળ બેસેલા તેમના પત્ની વનિતાબેનને શરીરે ગંભીર ઈજાઓ પહોંચી હતી. બનાવની જાણના આધારે 108 એમ્બ્યુલન્સની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી ગઈ હતી અને મહિલાને સારવાર માટે મોકલી યુવાનને તપાસતા તેનું મોત નિપજ્યાનું જાહેર કર્યુ હતું.
આ અંગેની જાણના આધારે હેકો એલ જી જાડેજા તથા સ્ટાફે મૃતકના પુત્ર સચિનભાઈ ચાવડાના નિવેદનના આધારે ટેન્કરચાલક વિરૂધ્ધ અકસ્માતનો ગુનો નોંધી મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ માટે મોકલી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.


