જામનગર શહેરના ગોકુલનગર વિસ્તારમાં રહેતાં આધેડ ઉપર જૂની માથાકૂટનો ખાર રાખી બે શખ્સોએ લાકડાના ધોકા વડે હુમલો કરી પતાવી દેવાની ધમકી આપી હતી. તેમજ સામાપક્ષે દંપતીએ યુવાન ઉપર છુટા પથ્થરના ઘા મારી ઈજા પહોંચાડી હતી. હુમલામાં પોલીસે બંને પક્ષની સામસામી ફરિયાદ નોંધી તપાસ આરંભી હતી.
બનાવની વિગત મુજબ, જામનગર શહેરના ગોકુલનગર વિસ્તારમાં આવેલા રામનગરમાં રહેતાં માવજીભાઈ માથુરભાઈ ડાભી નામના આધેડ સાથે અગાઉની માથાકૂટનો ખાર રાખી આધેડ ગત તા.6 ના રાત્રિના સમયે વાહન પાર્ક કરતા હતા તે દરમિયાન વાહન અડયું ન હોવા છતાં વજુ રાજશી માડમ, પ્રવિણ રાજશી માડમ નામના બે ભાઇઓે આધેડને વાહન અડવા બાબતે ગાળો આપી માથામાં લાકડાના ધોકા વડે હુમલો કરી અને આધેડની ઈકો ગાડીમાં ધોકો મારી નુકસાન પહોંચાડયું હતું તેમજ બંને ભાઈઓએ ઢીકાપાટુનો માર મારી પતાવી દેવાની ધમકી આપી હતી. હુમલાના બનાવમાં આધેડ દ્વારા જાણ કરાતા પીએસઆઇ એસ.એમ. સિસોદીયા તથા સ્ટાફે માવજીભાઈના નિવેદનના આધારે ગુનો નોંધી તપાસ આરંભી હતી.
તેમજ સામાપક્ષે માવજી ડાભી અને વસંતાબેન માવજી નામના દંપતીએ જૂના ઝઘડાનો ખાર રાખી વજુભાઈ માડમ નામના યુવાનને અપશબ્દો બોલી ઝપાઝપી કરી છૂટા પથ્થરના ઘા મારી ઈજા પહોંચાડયાના બનાવમાં પોલીસે દંપતી વિરૂધ્ધ તપાસ આરંભી હતી.