જામનગર શહેરના દિગ્વીજય પ્લોટ 49 રોડ પરથી પસાર થતા શખ્સને આંતરીને તેની પાસેથી શક પડતો ભંગારનો જથ્થો અને રોકડ રકમ તથા મોબાઇલ સહિત કુલ રૂા.39,650 નો મુદ્દામાલ શક પડતી મિલકત તરીકે કબ્જે કરી તપાસ આરંભી હતી.
આ અંગેની વિગત મુજબ, જામનગર શહેરના 49 દિગ્વીજય પ્લોટ રોડ પરથી એક શખ્સ બિલ વગરનો પીતળનો ભંગાર લઇને પસાર થવાની ઋષિરાજસિંહ વાળા, મયુરસિંહ પરમાર, અને હરદીપ બારડને મળેલી બાતમીના આધારે પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુની સૂચનાથી પીઆઇ જે.વી. ચૌધરી તથા સ્ટાફે વોચ ગોઠવી પાણાખાણાના નાકા પાસેથી પસાર થતા રફિક સતાર મનસુરી નામના શખ્સને આંતરીને તલાસી લેતા તેની પાસેથી રૂા.20240 ની કિંમતનું 44 કિલો પીતળના સળિયાનો ભંગાર મળી આવ્યો હતો. આ ભંગારનો બીલ કે આધાર પૂરાવો ન હોવાથી એલસીબીએ ભંગારનો જથ્થો અને રૂા.14410 ની રોકડ રકમ અને પાંચ હજારની કિંમતનો મોબાઈલ સહિત કુલ રૂા.39,650 ની કિંમતનો મુદ્દામાલ શક પડતી મિલકત તરીકે કબ્જે કરી વધુ તપાસ આરંભી હતી.