જામનગર તાલુકાના મોટી બાણુંગાર ગામમાં આવેલી ભાગીદારી પેઢીમાં એક ભાગીદારએ તેના વહીવટના સમય દરમ્યાન પેઢીના હિસાબમાંથી રૂા. 28.24 લાખ અંગત ઉપયોગ માટે ખર્ચ કરી અન્ય ભાગીદારો સાથે છેતરપિંડી આચરી હોવાની પોલીસ ચોપડે ફરિયાદ નોંધાવા પામી છે.
છેતરપિંડીના બનાવની વિગત મુજબ જામનગર તાલુકાના મોટી બાણુંગાર ગામની સીમમાં સર્વે નંબર 439 વાળી જમીનમાં આવેલા શિવશકિત પેટ્રોલિયમ નામની ભાગીદારી પેઢીમાં ગત્ તા. 01-04-2024 થી વહીવટદાર તરીકે તીર્થરાજસિંહ કાળુભા પરમારની જવાબદારી હતી. તેના સમયગાળા દરમ્યાન પેઢીના હિસાબના તા. 31-03-2025 સુધીના સમય દરમ્યાન રૂા. 1,78,45,712 નફા સાથેની મૂડીમાંથી તીર્થરાજસિંહએ રૂા. 1,50,21,329નો હિસાબ આપ્યો હતો અને બાકીના રૂા. 28,24,383ની રકમ પેઢીમાં હોવી જોઇએ પરંતુ આ રકમ પેઢીમાં ન હતી. જેથી તિર્થરાજસિંહએ તેના વહીવટી સમયગાળા દરમ્યાન અન્ય ભાગીદારો સાથે છેતરપિંડી આચરી રૂા. 28.24 લાખ પોતાના અંગત ઉપયોગ માટે ખર્ચ કરી ઉચાપત કરી હતી. આ છેતરપિંડી અંગે કુંવરજીભાઇ ભેંસદડિયા દ્વારા પંચકોશી એ ડિવિઝનમાં ફરિયાદ નોંધાવાઇ હતી. જેના આધારે પીઆઇ એમ. એન. શેખ તથા સ્ટાફએ ગુનો નોંધી તપાસ આરંભી હતી.


