જામનગર શહેર અને જિલ્લામાં શનિ-રવિ બે દિવસ દરમિયાન કોરોનાના 10 પોઝિટિવ કેસ નોંધાયા છે. દેવભૂમિ દ્વારકા જિલ્લામાં છેલ્લા કેટલાક દિવસોથી કોરોનાનું સંક્રમણ મક્કમ પગલે વધી રહ્યું છે. છેલ્લા 48 કલાક દરમિયાન જિલ્લાના તમામ ચાર તાલુકાઓમાં મળી કુલ 18 નવા દર્દી સામે આવ્યા છે.
છેલ્લા ઘણા સમયથી જામનગર સહિત સમગ્ર રાજ્યમાં કોરોનાના પોઝિટિવ કેસોની સંખ્યામાં વધારો જોવા મળી રહ્યો છે અને છેલ્લાં 48 કલાક દરમિયાન જામનગર શહેરમાં શનિવારે આઠ અને રવિવારે બે પોઝિટિવ કેસ નોંધાયાં હતાં. જ્યારે જિલ્લામાં એકપણ કેસ નોંધાયો ન હતો. દેવભૂમિ દ્વારકા જિલ્લાના દ્વારકા તાલુકામાં જ કોરોનાના નવા કેસો અન્ય તાલુકાઓની સરખામણીમાં વધુ જોવા મળી રહ્યા છે. ગઈકાલે રવિવારે આરોગ્ય વિભાગ દ્વારા કરવામાં આવેલા કુલ 209 કોવિડ ટેસ્ટમાં ફક્ત દ્વારકા તાલુકામાં જ નવ દર્દીઓ નોંધાયા છે. જ્યારે અન્ય ત્રણ તાલુકાઓમાં એક પણ નવો દર્દી નોંધાયો નથી. જેથી લોકોમાં ચિંતા જોવા મળી હતી.
શનિવારે ભાણવડ તાલુકામાં સાત તથા દ્વારકામાં બે મળીને કુલ નવ નવા કેસ નોંધાયા હતા. આમ, બે દિવસના સમયગાળા દરમિયાન કુલ 18 નવા કેસ વચ્ચે શનિવારે છ દર્દીઓને સ્વસ્થ જાહેર કરવામાં આવ્યા છે. આરોગ્ય વિભાગ દ્વારા છેલ્લા ત્રણ દિવસથી 18 થી 59 વર્ષના વ્યક્તિઓ માટે પ્રીકોશન ડોઝની કામગીરી અવિરત રીતે હાથ ધરવામાં આવી રહી છે. જેમાં સહભાગી થઈ, આ ડોઝ લેવા જાહેર જનતાને આરોગ્ય તંત્ર દ્વારા સોશિયલ મીડિયા થકી જાહેર અપીલ કરવામાં આવી રહી છે.


