જામનગર શહેરના દિગ્જામ સર્કલ પાસેથી પસાર થતાં બે યુવાનોએ બાઇક ઉભી રાખતા બે શખ્સોએ બાઇક ઉભી રાખવાની બાબતે બોલાચાલી કરી છરીની મુઠ વડે હુમલો કરી, ઢીકાપાટુનો માર મારી પતાવી દેવાની ધમકી આપી બાઇકમાં નુકશાન પહોંચાડયું હતુ.
હુમલાના બનાવની વિગત મુજબ મૂળ વડોદરામાં ગોતરી તળાવની બાજુમાં આવેલા સહજાનંદ રેસિડેન્સનો વતની અને હાલ જામનગરમાં સોનલનગર, ગોલ્ડન સિટી વિસ્તારમાં રહેતો કરશનભાઇ કારાભાઇ પરમાર નામનો 49 વર્ષનો યુવાન શુક્રવારે રાત્રિના સમયે તેના મિત્ર સાથે બાઇક પર ઓફિસેથી ઘર તરફ જતો હતો ત્યારે દિગ્જામ સર્કલ નજીક શાળા નંબર 31ની સામે રસ્તામાં બાઇક ઉભી રાખી હતી. તે દરમ્યાન જામનગરમાં રહેતા અમન અને જીણો નામના બે શખ્સોએ કરશન પાસે આવીને, “ગાડી કેમ અહીંયા ઉભી રાખી છે? ગાડી અહીં ઉભી રાખવી નહીં.” તેમ ધમકાવતાં કરશનના મિત્ર બળવંતસિંહએ કહ્યું કે, “અમને એવું લાગ્યું કે, અહીં ઝઘડો થયો છે એટલે ગાડી ઉભી રાખી હતી.” તેમ કહેતાં બન્ને શખ્સોએ બે યુવાનોને જેમ ફાવે તેમ ગાળો કાઢી છરીની મુઠ વડે હુમલો કરી ઇજા પહોંચાડી હતી. તેમજ ઢીકાપાટુનો માર મારી, “સોનલનગર અને શંકરટેકરી અમારા બાપનું છે. અહીંયા બીજીવાર દેખાણા તો પતાવી નાંખશું.” તેવી ધમકી આપી બાઇકમાં નુકશાન પહોંચાડયું હતું.
હુમલાના બનાવમાં ઇજાગ્રસ્ત યુવાનોને સારવાર હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં બનાવની જાણના આધારે પીએસઆઇ ડી. કે. ગોહિલ તથા સ્ટાફએ કરશનભાઇના નિવેદનના આધારે બે શખ્સો વિરૂઘ્ધ ગુનો નોંધી તપાસ આરંભી હતી.


