રાજયની વડી અદાલતે શનિવારે ગુજરાત સરકાર તથા તમામ સતાવાળાઓએ કહ્યું છે કે, રાજયમાં કોરોનાની પરિસ્થિતિ નવેસરથી બગડવા તરફ જઇ રહી છે. તેથી સૌ એ એલર્ટ બની જવું જોઇએ. આ તકે, હાઇકોર્ટે એમ પણ જણાવ્યું છે કે, તાજેતરની ચૂંટણી અને સૌના બેકાળજીભર્યા વલણને પરિણામે ફરીથી રાજયમાં કોરોનાના સંદર્ભમાં ખેલ બગડી શકે છે.

રાજયના 300 ડોકટરો એવાં છે જેઓએ ગત્ વર્ષે એમ.બી.બી.એસની ડિગ્રી મેળવી લીધી છે. અને આ તબીબો પોસ્ટ ગ્રેજયુએટ પરિક્ષાઓ માટે ‘નિટ’ની તૈયારીઓ કરવા ઇચ્છે છે અને તેઓ કોરોના ડયુટી ફરીથી જોઇન કરવા ઇચ્છતા નથી. આ અંગેનો કેસ અદાલતમાં આવ્યો ત્યારે હાઇકોર્ટે ઉપર મુજબ જણાવ્યું હતું.
હાઇકોર્ટના મુખ્ય ન્યાયમૂર્તિ વિક્રમનાથ અને ન્યાયમૂર્તિ જે.ડી.પારડીવાલાની બેન્ચે કહ્યું છે કે, આ વખતની ચુંટણી અને સૌનું બેકાળજીભર્યુ વલણ કોરોનાના સંદર્ભમાં વધુ એક વખત રાજયમાં ખેલ બગાડી શકે છે.ન્યાયમૂર્તિઓ એ એમ પણ કહ્યું કે, અદાલત ઇચ્છે છે કે, સરકાર સહિતના સૌ સતાવાળાઓ તમામ મોરચે ફરીથી એલર્ટ રહે કેમ કે, વાયરસ નવેસરથી સક્રિય થયો છે.
આ ઉપરાંત હાઇકોર્ટે એમ પણ જણાવ્યું કે, 1897ની સાલમાં અંગ્રેજ સરકારના જમાનામાં બનાવવામાં આવેલો એપિડેમિક ડિસિઝ એકટ ખુબજ જુનો છે. તેથી તેને સુધારવાની જરૂર છે. આ અંગે અદાલતે રાજય સરકારને સુચના આપી છે.
હાઇકોર્ટમાં આ મામલો લઇ જનાર 300 એમબીબીએસ ડોકટરોને રાજય સરકારે ફરીથી કોરોના ડયૂટી જોઇન કરવાની સુચના આપી છે. પરંતુ આ ડોકટરોએ અદાલતમાં સરકારની આ સુચનાને કાનૂની પડકાર આપ્યો છે. ડોકટરો કહે છે, અમે નીટની પરિક્ષાની તૈયારીઓ કરી રહ્યા છીએ. અમે ફરીથી કોરોના ડયૂટી જોઇન ન કરી શકીએ. બીજી બાજુ રાજય સરકાર આ ડોકટરોના ઘરે પોલીસકર્મીઓને મોકલી રહી છે. આ પોલીસકર્મીઓ ડોકટરોને ફરીથી કોરોના ડયૂટી જોઇન કરવા રાજય સરકારના આદેશ અનુસાર કહી રહી છે. પરંતુ ડોકટરો કહે છે કે, નિયમ મુજબ અમો સરકારને બોન્ડની રકમ જમા કરાવવા તૈયાર છીએ. અમારે નીટની પરિક્ષાની તૈયારી કરવાની હોય અમો ફરીથી કોરોના ડયૂટી જોઇન કરવા ઇચ્છતા નથી.