જામનગર શહેર અને જિલ્લામાં છેલ્લાં ઘણાં સમયથી ચોરી-હત્યા મારા મારીના બનાવો ગંભીર રીતે વધી રહ્યા છે. જો કે, પોલીસ તંત્ર પેટ્રોલિંગ કરી અને ગુનાઓ અટકાવવાનો પ્રયાસ કરી રહી છે. પરંતુ, ગુનાખોરી અટકવાનું નામ નથી લેતું. દરમિયાન જામનગરના ઉદ્યોગનગર વિસ્તારમાં કારખાનામાંથી સીસીટીવીનું ડીવીઆર અને બ્રાસપાર્ટનો તૈયાર માર મળી કુલ રૂા.1,69,500 નો મુદ્દામાલ લઇ ગયા હતાં. ચોરીના બનાવમાં પોલીસે તપાસ આદરી હતી. જામનગર નજીક આવેલા અનાજ કલીનિંગનું જોબવર્ક કરાતા બે ગોડાઉનમાંથી અજાણ્યા તસ્કરોએ રૂા.68,750 ની કિંમતના જીરૂના બાચકાની ચોરી કરી ગયાના બનાવમાં પોલીસે તપાસ આદરી હતી.
ચોરીના બનાવની વિગત મુજબ, જામનગર શહેરના ખોડિયાર કોલોની વિસ્તારમાં રહેતાં કિશોરભાઇ સાંગાણી નામના વેપારી યુવાનના શંકરટેકરી જકાતનાકા પાસે ઉદ્યોગનગરમાં પ્લોટ નં.72 માં પટેલ એસ્ટેટ નામના બ્રાસના કારખાનામાંથી ગત તા.9 ના સાંજથી તા.10 ના સવારના 6 વાગ્યા સુધીના સમય દરમિયાન તસ્કરો ત્રાટકયા હતાં અને કારખાનામાંથી રૂા.157500 ની કિંમતનો 350 કિલો પિત્તળનો તૈયાર સામાન અને ઓફિસમાં લગાડેલા સીસીટીવી કેમેરાનું રૂા.12000 ની કિંમતનું ડીવીઆર મળી કુલ રૂા.1,69,500 ના મુદ્દામાલની ચોરી કરી ગયા હતાં. આ અંગેની જાણ વેપારી કિશોરભાઈ દ્વારા કરાતા પીએસઆઈ એચ.ડી. હિંગરોજા તથા સ્ટાફે સ્થળ પર પહોંચી જઇ ગુનાશોધક શ્ર્વાન અને એફએસએલની મદદ વડે ચોરીનો ભેદ ઉકેલવા તપાસ આદરી હતી.
બીજો બનાવ જામનગર શહેર અને જિલ્લામાં ચોરીના બનાવો સતત વધતા જાય છે. પોલીસ વિભાગ એક ચોરીનો ભેદ ઉકેલે ત્યાં નવી બે ઘટનાઓ બની ગઇ હોય છે. જામનગર તાલુકાના અલિયાબાડામાં રહેતા ભદ્રેશભાઈ કાસુન્દ્રા નામના પટેલ યુવાનના જે.પી. કલીનિંગ નામના ગોડાઉનમાંથી 25 દિવસ દરમિયાન તસ્કરોએ રૂા.50000 ની કિંમતનું 200 કિલો જીરૂ તથા અનિલભાઈ ગોકરાણીના એમ.કે. એગ્રી કોર્પોરેશન 25 દિવસ દરમિયાન અજાણ્યા તસ્કરોએ રૂા.18750 ની કિંમતનું 75 કિલો જીરૂની ચોરી કરી ગયા હતાં. આમ તસ્કરો બે ગોડાઉનમાંથી કુલ રૂા.68,750 ની કિંમતના 275 કિલો જીરૂની ચોરીના બનાવની જાણ કરાતા પીએસઆઇ એમ.એ.મોરી તથા સ્ટાફે જીરૂ ચોરી અંગે તપાસ આદરી હતી.