જામનગર શહેરમાં વેપારીને એસઓજી પીઆઇના રાઇટર તરીકેની ખોટી ઓળખ આપી 1.57 લાખ રૂપિયા પડાવનાર શખ્સને પોલીસે દબોચી લઇ વધુ પૂછપરછ હાથ ધરી હતી.
આ અંગેની વિગત મુજબ, જામનગર શહેરમાં રહેતા મહોમદ રીયાન ઈમ્તિયાઝ શેખ નામના વેપારી યુવાનને તેના એનડીપીએસ એકટ હેઠળ જેલમાં રહેલા મામાને મદદ કરવાનો ડર બતાવી એસઓજી પીઆઈના રાઈટર તરીકેની ઓળખ આપી શખ્સે વોટસએપ દ્વારા સમયાંતરે રૂા.1.57 લાખ પડાવી લીધા હતાં. ત્યારબાદ વેપારી યુવકે નકલી પોલીસે પૈસા પડાવ્યાની પોલીસ ફરિયાદ નોંધાવી હતી. જેના આધારે પીઆઈ એન.એ. ચાવડા તથા સ્ટાફે નકલી પોલીસ બની પૈસા પડાવનાર શખ્સની વિરૂધ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. દરમિયાન પીઆઈના નકલી રાઈટર તરીકેની ઓળખ આપનાર સબીર હુશેન ભગાડ નામના શખ્સને દબોચી લઇ પૂછપરછ હાથ ધરી હતી અને સબીરે અગાઉ અન્ય કોઇ વ્યક્તિ સાથે પોલીસ તરીકેની ઓળખ આપી રૂપિયા પડાવ્યા છે કે કેમ ? તે અંગેની તપાસ હાથ ધરી હતી.


