એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા સિવિલ એન્કલેવ, જામનગર દ્વારા તા.17ના જામનગર એરપોર્ટ પર યાત્રી સેવા દિવસની ઉજવણી કરવામાં આવી હતી.નનએરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયાની આ રાષ્ટ્રવ્યાપી પહેલ મુસાફરોની સગવડતા વધારવા, દેશ વિદેશના ખૂણે ખૂણેથી આવતા લોકોને પરસ્પર જોડવા તથા મુસાફરીને સુવિધાજનક બનાવવાની પ્રતિબધ્ધતાને દર્શાવે છે. આ યાત્રી સેવા દિવસની ભારતના તમામ એરપોર્ટ પર ખૂબ ઉત્સાહપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી.
જામનગર એરપોર્ટ પર વહેલી સવારથી આ ઉજવણીના ભાગરૂપે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ અંતર્ગત સૌપ્રથમ હવાઈ સફર માટે આવાગમન કરનારા મુસાફરોનું તિલક લગાવીને પારંપરિક સ્વાગત કરવામાં આવ્યું હતું. આ સાથે મનમોહક લોકનૃત્ય પણ પ્રદર્શિત કરવામાં આવ્યું હતું. રાષ્ટ્રીય ગૌરવને વધારનારુ, વડાપ્રધાન નરેન્દ્ર મોદીની છબી સાથેનું સુંદર સેલ્ફી પોઇન્ટ પણ મુસાફરો માટે અત્યંત આકર્ષણનું કેન્દ્ર બની રહ્યું હતું. મુસાફરો તથા એરપોર્ટ સ્ટાફના સ્વાસ્થ્યની સુખાકારી માટે નિશુલ્ક સ્વાસ્થ્ય પરીક્ષણ નું પણ આયોજન કરવામાં આવ્યું હતું તેમજ સ્થાનિક આરોગ્ય અધિકારીઓના સહયોગથી રક્તદાન શિબિર પણ યોજવામાં આવી હતી.
પર્યાવરણની જાળવણી અને સુરક્ષાના હેતુસર એરપોર્ટ સ્ટાફ તથા મુસાફરો દ્વારા એરપોર્ટના પરિસરમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. શાળાના બાળકોને એરપોર્ટની સુવિધાઓથી પરિચિત કરાવવા તેમની એરપોર્ટ મુલાકાતનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ અંતર્ગત ઉડ્ડયન કારકિર્દી અંગે બાળકોને માહિતગાર કરવામાં આવ્યા હતા.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીની મુસાફરોની સગવડ તથા લોકસમુદાય ને પરસ્પર જોડવા અંગેની દૂરદર્શિતાને દૂરદર્શિતાને સાકાર કરતા આ કાર્યક્રમના સફળ આયોજનમાં જામનગર એરપોર્ટ ડાયરેક્ટર ધનંજય કુમાર સિંગ ના માર્ગદર્શન અને સહકાર સાથે એરપોર્ટ સ્ટાફ સુરક્ષા કર્મીઓ આરોગ્ય અધિકારીઓ સ્થાનિક કલાકારો શૈક્ષણિક સંસ્થાઓએ સાથે મળી યાત્રી સેવા દિવસની ખુબ જ ઉત્સાહપૂર્વક ઉજવણી કરી હતી.


