જામનગરમાં ગુલાબનગર પાસે આવેલા રેલવે ઓવરબ્રીજ નીચેથી અર્ધનગ્ન હાલતમાં યુવાનનો મૃતદેહ મળી આવતાં સિટી ‘બી’ ડિવિઝન તથા રેલવે પોલીસ ઘટના સ્થળે દોડી ગઇ હતી અને મૃતકના પીઠ પાછળ ઉઝરડાં હોવાથી માર મારી હત્યા નિપજાવી હોવાની આશંકાએ તે દિશામાં તપાસ આરંભી હતી.
બનાવની વિગત મુજબ જામનગર શહેરમાં ગુલાબનગર રેલવે ઓવરબ્રીજ નીચે રેલવેના પાટા પાસેથી આજે વહેલી સવારે અજાણ્યા પુરૂષનો મૃતદેહ અર્ધનગ્ન હાલતમાં મળી આવ્યો હતો. જે અંગેની પોલીસમાં જાણ કરવામાં આવતા સિટી ‘બી’ ડિવિઝન પોલીસ સ્ટાફ તથા રેલવે પોલીસ વિભાગ તાત્કાલિક સ્થળ પર પહોંચી ગયો હતો. સ્થળ પરથી મળી આવેલા આશરે 45 વર્ષના અજાણ્યા પુરૂષના શરીરે પીઠના ભાગે ઉઝરડાં જોવા મળ્યા હતા અને નાકમાંથી લોહી નીકળ્યું હતું. તેમજ મૃતકનું બ્લેક કલરનું પેન્ટ બાજુમાં પડેલ હતું. જ્યારે જાંબલી કલરનો શર્ટ પહેરેલ હતો. પોલીસે મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ માટે મોકલવા તજવીજ હાથ ધરી હતી.
તેમજ પોલીસે બનાવ સ્થળની આજુબાજુમાં લોકોની પૂછપરછ હાથ ધરી મૃતકની ઓળખ મેળવવા તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા અને મૃતકની હત્યા નિપજાવવામાં આવી છે કે કેમ? અને કયા કારણોસર યુવાનનું મોત નિપજયું છે તે અંગેની તપાસ આરંભી હતી.


