Saturday, July 27, 2024
Homeરાજ્યહાલારધારાસભ્ય હેમતભાઇ ખવાએ બજેટને નિરાશાજનક ગણાવ્યું

ધારાસભ્ય હેમતભાઇ ખવાએ બજેટને નિરાશાજનક ગણાવ્યું

- Advertisement -

તાજેતરમાં સરકાર દ્વારા 3,32,465 કરોડનું જંગી કદ ધરાવતું ગુજરાતના ઇતિહાસનું અત્યાર સુધીનું સૌથી મોટુ બજેટ રજૂ કરાયું. આકડાની માયાઝાળ દર્શાવી સત્તાધીશોએ વાહવાહી પણ લૂંટી લીધી છે. બજેટમાં ગુજરાતને 5જી ગુજરાત બનાવવાની ડાહી-ડાહી વાતો કહેવામાં આવી છે. જો કે, આટલા જંગી કદના બજેટટમાં જામનગરના નામ માત્રનો ક્યાંય ઉલ્લેખ થયો નથી. ઉપરાંત રાજકોટ સહિત સૌરાષ્ટ્ર માટે પણ કોઇ ખાસ મોટા આયોજનબધ્ધ જાહેરાત કરાઇ નથી. જેથી સૌરાષ્ટ્રની નેતાગીરી વધુ એક વખત વામણી પુરવાર થઇ છે. જામનગરની જનતાએ ખૂબ વિશ્ર્વાસ અને વિકાસકામોની આશા અપેક્ષા અને જનસમર્થન સાથે ભાજપના ચાર-ચાર ધારાસભ્ય આપ્યા છે. ગુજરાત સરકારમાં પણ હાલારનું પ્રતિનિધિત્વ હોવા છતાં જામનગરના નામે બજેટમાં એક ફદીયુ’ય ફાળવવામાં આવ્યું નથી. જેથી જામજોધુપર, લાલપુર વિધાનસભાના બેઠકના ધારાસભ્ય હેમતભાઇ ખવાએ આ બજેટને નિરાશાજનક ગણાવ્યું છે. વધુમાં ખેડૂતો, યુવાઓ અને ગ્રામિણ લોકોને પણ દેખીતો અન્યાય કર્યો છે.

- Advertisement -

ખાસ વાત એ છે કે, આ બજેટમાં ખેડૂત અને ગ્રામિણ લોકોને અપેક્ષા મુજબ સહેજ પણ પ્રાધાન્ય અપાયું નથી. શહેરી વિસ્તારને વિકાસનો પંથ આપવા માટે સરકાર દ્વારા રૂપિયા 21696 કરોડની જોગવાઇ કરાઇ છે. જે બેશક આવકારદાયક બાબત છે. જેની સરખામણીએ ગામડાં સાથે હળાહળ અન્યાય થયો છે. જેને લઇને સરકારના ગામડાં વિરોધી નીતિ વધુ એક વખત લોકો સામે ઉઘાડી પડી છે. કારણ કે, 65 ટકાથી પણ વધુ વસ્તી ધરાવતા ગ્રામ્ય વિસ્તાર માટે માત્ર રૂા. 12138 કરોડની જ મામુલી જોગવાઇ કરાઇ છે. જે ગામડાના લોકોની ભરપૂર ઉપેક્ષાનો બોલતો પુરાવો છે. ગાંધીજી એવું કહેતા હતાં કે, સાચુ ભારત ગામડાંના લોકોની ભરપૂર ઉપેક્ષાનો બોલતો પુરાવો છે. ગાંધીજી એવું કહેતા હતા કે, સાચુ ભારત ગામડામાં વસે છે. જેથી ગામડાનો વિકાસ જરુરી છે. પરંતુ આ સરકારમાં ગામડાંના વિકાસ માટેની વિટંમણા દૂર થતી નથી.

બીજીતરફ જે પાયા પર આ દેશ ઉભો છે. તે ખેતી અને ગુજરાતનો ખેડૂતો સમૃધ્ધ થાય તે દિશામાં પણ સરકારની કોઇ નક્કર જોગવાઇ બજેટમાં દેખાતી નથી. ખેડૂતો માટે કોઇ ખાસ જોગવાઇ ન કરીને સરકારે પોતે ખેડૂત વિરોધી હોવાનું પુરવાર કરી બતાવ્યું છે. ખાતર, બિયારણ મંજૂરી ખર્ચમાં તોતિંગ વધારા વચ્ચે પણ ખેડૂતોને ભાવઘટાડાની કોઇ રાહત અપાઇ નથી. ખેડૂતોને અપાતા ધિરાણ અને વ્યાજદરની રાહતની મર્યાદાઓમાં પણ કોઇ વધારો કરાયો નથી. 3 લાખના ધિરાણ સુધી જ વ્યાજદરમાં રાહત યથાવત્ રહેતા 5 લાખ સુધીની મર્યાદા મામલે ખેડૂતોના ઓરતા અધુરા જ રહ્યા છે. ખેડૂતોએ હજારો વખત રજૂઆતો, ધરણા આંદોલનો કર્યા છતાં સરકાર સુધી ખેડૂતોનો અવાજ પહોંચાડવા નેતાઓ નિષ્ફળ નિવડયા છે.

- Advertisement -

વિકાસના પંથે આગળ વધતા સૌરાષ્ટ્રમાં ફોરલેન, સિક્સલેન માર્ગોની તાતી જરુરીયાત છે. છતાં આ દિશામાં એકપણ મોટી જાહેરાત થઇ નથી. સૌની યોજના હેઠળ પાણીની પાઇપલાઇન માટે નવા કામોનો પણ ખાસ કોઇ ઉલ્લેખ નથી. વર્ષોથી સુકા પ્રદેશ તરીકે જાણીતા સૌરાષ્ટ્રમાં ક્યાંય મોટા ડેમ બનાવવાનો પણ બજેટમાં ક્યાંય ઉલ્લેખ નથી. સૌરાષ્ટ્રમાં વિશાળ જળાશય બનાવવામાં આવે તો દરિયામાં વહી જતા પાણીનો સંગ્રહ થાય અને જેથી પીવાના પાણી અને ખેડૂતોને સિંચાઇની સમસ્યા હલ થઇ શકે અને ખેડૂતોની સમૃધ્ધિના દ્વાર ખુલી શકે.

વધુમાં નાના-નાના કામોને મીડીયા અને સોશિયલ મીડીયાના માધ્યમથી મોટા બતાવી નેતાઓ વાણી વિાલસ કરવાનું સહેજ પણ મોકો ચૂકતા નથી. પરંતુ બજેટમાં જામનગરને અન્યાય મામલે કોઇ બોલવા તૈયાર નથી. વધુમાં સ્થાનિક નેતાઓ ઇચ્છતા હોત તો બ્રાસ ઉદ્યોગ માટે રાહત, પીરોટન ટાપુ રોજી પોર્ટ અને ઐતિહાસિક સ્થળો તથા મંદિરોને પણ પ્રવાસન સ્થળ તરીકે વિકસાવી સ્થાનિક લોકોને રોજગારી આપી શકાય તે દિશામાં સાનુકુળ નિર્ણય લેવાયો હોત. છતાં પણ બજેટમાં કોઇ ઉલ્લેખ નહીં. જેથી સરકાર માટે જામમનગર જિલ્લો માત્ર વોટ પુરતો જ મર્યાદિત રહ્યો હોય તેવું લાગી રહ્યું છે. તેમ ધારાસભ્ય હેમતભાઇ ખવાએ અંતમાં જણાવ્યું હતું.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular