જામનગર તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં છેલ્લાં 4-5 દિવસથી દિપડો ફરી રહ્યો હોવાના ફફડાટના કારણે ગ્રામજનો ભયભીત થઈ ગયા હતાં તેમજ ખેતમજૂરે દિપડો જોયો હોવાની જાણના આધારેે ફોરેસ્ટ વિભાગે નારણપરના વાડી વિસ્તારમાં તપાસ હાથ ધરી પગના નિશાનના આધારે પાંજરુ ગોઠવી દિપડાને ઝડપી લેવા તજવીજ આરંભી હતી.
છેલ્લાં 4-5 દિવસથી જામનગર તાલુકાના ચેલા ગામ અને દરેડ આજુબાજુના ગ્રામ્ય વિસ્તારોમાં દિપડો દેખાયાની ચર્ચાએ જોર પકડયું હતું. જેના કારણે ગ્રામજનોમાં ફફડાટ ફેલાઈ ગયો હતો. આ ચર્ચાના કારણે વન વિભાગ દ્વારા રાત્રિના સમયે પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું હતું. પેટ્રોલિંગ દરમિયાન કાચા રસ્તા પરથી દિપડાના પગના નિશાન જોવા મળ્યા હતાં. તેમજ ગઈકાલે રાત્રિના સમયે દરેડ નજીક એક ખેતમજૂર લઘુશંકા માટે જતો હતો તે દરમિયાન નદીકાંઠાના વિસ્તારમાં ગર્જના સાંભળવા મળી હતી જેના કારણે બે શ્રમિકો ત્યાંથી ભાગી છૂટયા હતાં. આ અંગેની જાણ કરાતા ફોરેસ્ટ વિભાગની ટૂકડી નારણપર અને દરેડ તથા ચેલાના સીમ વિસ્તારમાં ફરી રહેલા દિપડાને પાંજરે પૂરવા પેટ્રોલિંગ દરમિયાન પાંજરુ પણ મૂકવામાં આવ્યું હતું. જો કે, ચાર-પાંચ દિવસથી દિપડાની ચર્ચાએ સમગ્ર જિલ્લામાં ભયનો માહોલ ફેલાઈ ગયો છે.


