Tuesday, September 17, 2024
Homeરાજ્યગુજરાતસુરક્ષા છાવણીમાં ફેરવાયું ‘કમલમ્’

સુરક્ષા છાવણીમાં ફેરવાયું ‘કમલમ્’

રૂપાલા વિવાદ મામલે કરણી સેનાએ આપી છે ઘેરાવની ચિમકી : આત્મ વિલોપન કરવા રાજ શેખાવતની ચેતવણી

- Advertisement -

રાજકોટના લોકસભાનાં ભાજપના ઉમેદવાર પરસોતમ રૂપાલાના વિવાદાસ્પદ વિધાનો સામે આંદોલન ચલાવી રહેલા ક્ષત્રિય સમાજે આજે ભાજપ કાર્યાલય ‘કમલમ’ને ઘેરાવ કરવાનું એલાન આપ્યુ છે. ત્યારે પ્રદેશ કાર્યાલ સુરક્ષા છાવણીમાં ફેરવાઈ ગયુ છે.ક્ષત્રિય સમાજના કાર્યક્રમને રોકવા માટે લોખંડી સુરક્ષા બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.

- Advertisement -

ક્ષત્રિય સમાજ વિશે વિવાદાસ્પદ વિધાનો કરનારા પરસોતમ રૂપાલાની ટીકીટ રદ કરવાની માંગણી સાથે સમગ્ર ગુજરાતનો ક્ષત્રિય સમાજ છેલ્લા એક પખવાડીયાથી આંદોલન ચલાવી રહ્યો છે. સમાજની માંગણી પર દબાણ લાવવા માટે આજે ભાજપના પ્રદેશ કાર્યાલય કમલમ પર હલ્લાબોલ સર્જીને ઘેરાવ કરવાનું એલાન આપવામાં આવ્યું છે. ક્ષત્રિય સમાજના આ એલાન સામે કમલમ ખાતે સુરક્ષાનાં જડબેસલાક પગલા લેવામાં આવ્યા છે. સેંકડો જવાનોનાં સુરક્ષા કાફલાને ખડકી દેવામાં આવ્યો છે. આજે સવારથી કમલમ ખાતે મહિલા પોલીસ સહીતની વિવિધ એજન્સીઓનાં જવાનોને ખડકી દેવાયા હતા. એસઆરપી બંદોબસ્ત ઉપરાંત ફાયર બ્રિગેડની ટીમોને પણ સ્ટેન્ડબાય રાખવામાં આવી છે.ભાજપ પ્રદેશ કાર્યાલયને ઘેરાવ પૂર્વે કરણીસેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ રાજ શેખાવતે એવુ જાહેર કર્યું હતું કે સેંકડોની સંખ્યામાં ક્ષત્રિય સહીતના સમાજનાં લોકો તેમાં જોડાશે. ઝંડા અને દંડા સાથે વિરોધ કાર્યક્રમમાં સામેલ થવા આહવાન કરવામાં આવ્યુ છે. સમાજના લોકોને કમલમ પહોંચતા અટકાવવાનાં પ્રયાસ થશે તો આત્મ વિલોપન કરવાની તેઓએ ચેતવણી આપી હતી. તેઓએ એમ કહ્યું હતું કે, સમાજ વાતાવરણ ડહોળવા માંગતો નથી કાયદો-વ્યવસ્થાની મર્યાદામાં રહીને જ કાર્યક્રમ થનાર છે. છતાં સરકાર અટકાવે તો સર્જાનારી કોઈપણ પરિસ્થિતિની જવાબદારી સરકારની રહેશે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular