કેન્દ્ર સરકારે અટલ પેન્શન યોજનામાં મોટો ફેરફાર કર્યો છે. જે અંતર્ગત આવકવેરો ભરનાર હવે આ યોજના માટે આવેદન નહિં કરી શકે.નવો નિયમ 1 ઓકટોબર 2022 થી લાગુ થશે. નાણા મંત્રાલય તરફથી આ મામલે સુચના જાહેર કરવામાં આવી છે.આ ફેરફાર આવકવેરા દાતાઓ માટે મોટો ઝટકો માનવામાં આવે છે. આ યોજના સરકારે 2015 માં શરૂ કરી હતી અને મુખ્યત્વે તે અસંગઠિત ક્ષેત્રના લોકો પર કેન્દ્રીત છે.
નાણા મંત્રાલયનાં અનુસાર કોઈપણ નાગરીક જે આવકવેરો ભરે છે અથવા પહેલા કયારેક ભરી ચુકયો છે તે 1 ઓકટોબર 2022 થી અટલ પેન્શન યોજનાનો લાભ ઉઠાવી નહિં શકે. મંત્રાલયે એ પણ સ્પષ્ટ કર્યું છે કે કેવા લોકોને આવકવેરો ભરનાર માનવામાં આવે.મંત્રાલયે જણાવ્યું હતુંકે કોઈપણ વ્યકિત જેની ઉપર આવકવેરાની કલમ 1961 અંતર્ગત આવકવેરા જવાબદારી બને છે તો તેને આવકવેરા દાતા માનવામાં આવશે.
નાણા મંત્રાલયનાં અનુસાર ગ્રાહક 1 ઓકટોબર કે ત્યારબાદ આ યોજના સાથે જોડાશે અને બાદમાં તે આવકવેરા દાતા જણાશે તો તેનુ ખાતું તત્કાલ બંધ કરવામાં આવશે સાથે સાથે એ સમય સુધીમાં જમા થયેલા પૈસા તેના ખાતામાં પરત કરવામાં આવશે.


