જામનગર શહેરમાં આજે અષાઢી બીજ ના તહેવાર નિમિત્તે ગોપાલક યુવા સંગઠન દ્વારા ભવ્ય શોભાયાત્રા નું આયોજન કરવામાં આવ્યું હતું. મચ્છુ માતાજીના મંદિરે સંતો મહંતોની ઉપસ્થિતિમાં ધ્વજારોહણ કરીને શોભાયાત્રાનો પ્રારંભ કરાયો હતો. જે શોભાયાત્રા નગર ભ્રમણ કરીને પંચેશ્વર ટાવર પાસે વંડાફળી વિસ્તારમાં આવેલા મચ્છુ માતાજીના મંદિરે પૂર્ણ થઈ હતી.

આ શોભાયાત્રામાં ભરવાડ સમાજની સાંસ્કૃતિક રમતો, ઉપરાંત ગોપાલક સમાજના યુવક યુવતીઓ દ્વારા દાંડીયારાસની રમઝટ બોલાવાઈ હતી. મોટી સંખ્યામાં ગોપાલક સમાજ ઉપસ્થિત રહ્યો હતો.
શોભાયાત્રા પૂર્ણ થયા બાદ મચ્છુ માતાજીના મંદિરે તેમજ રાધે કૃષ્ણ મંદિરે ચાંદાધારના મૂળાબાપાની જગ્યાના પૂજ્ય મહંત આંબા ભગત, હરીપર દેવાંગી આશ્રમના પરમ પૂજ્ય માધવદાસબાપુ, બાલંભડીના પૂજ્ય કાનાભગત, મચ્છુ બેરાજાના મચ્છુ માતાજીની જગ્યાના મહંત મોરારદાસબાપુની ઉપસ્થિતિમાં ધ્વજારોહણ કરાયું હતું. મહાઆરતી અને મહાપ્રસાદનું ગુર્જર સુથાર જ્ઞાતિની જગ્યામાં આયોજન કરવામાં આવ્યું હતું. આ શોભાયાત્રામાં ખંભાળિયાના ધારાસભ્ય વિક્રમભાઇ માડમ, જામનગર મહાનગરપાલિકાના વિરોધપક્ષના નેતા આનંદ રાઠોડ, વોર્ડ નં. 9ના કોર્પોરેટર નિલેશભાઇ કગથરા સહિતના અગ્રણીઓ પણ ઉપસ્થિત રહ્યાં હતાં.


