જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લા સહિત રાજ્યની નગરપાલિકાઓમાં ચૂંટણીનો માહોલ અંતિમ ચરણમાં પહોંચી રહ્યો છે. ત્યારે ધ્રોલ નગરપાલિકાના વોર્ડ નં. 7ના કોંગ્રેસના ઉમેદવારનું નિધન થવાથી આ વોર્ડની ચૂંટણી હાલ પુરતી સ્થગિત કરવામાં આવી છે.
મળતી વિગત મુજબ જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં નગરપાલિકાઓની ચૂંટણી માટેનું જાહેરનામુ પ્રસિધ્ધ થઇ ગયા બાદ આગામી તા. 16 ફેબ્રુઆરીના રોજ હાલારના ધ્રોલ, જામજોધપુર, કાલાવડ, ભાણવડ, સલાયા, દ્વારકા નગરપાલિકાઓની ચૂંટણી માટે રાજકીય પક્ષોના નેતાઓ દ્વારા પ્રચાર-પ્રસાર પૂરજોશમાં ચાલી રહ્યા છેઅને આ નગરપાલિકાઓની ચૂંટણી હવે અંતિમ તબક્કામાં પહોંચી ગઇ છે. ત્યારે ધ્રોલ નગરપાલિકાના વોર્ડ નં. 7ના કોંગ્રેસના ઉમેદવાર દશરથસિંહ જાડેજાને ગુરુવારે સાંજના સમયે એકાએક હૃદયરોગનો હુમલો આવતાં બેશુધ્ધ થઇ જતાં સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં. જ્યાં તેમનું સારવાર દરમિયાન મોત નિપજ્યાનું ફરજ પરના તબીબોએ જાહેર કર્યું હતું.
નગરપાલિકાની ચૂંટણીમાં ધ્રોલના વોર્ડ નં. 7ના કોંગ્રેસના ઉમેદવારનું હૃદયરોગના હુમલાથી નિધન થતાં આ વોર્ડની ચૂંટણી હાલ પુરતી સ્થગિત કરવા માટે ચૂંટણીપંચ દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.


