ખંભાળિયાના ડીવાયએસપી વી.પી. માનસેતાની સૂચના મુજબ કચેરીના સ્ટાફ દ્વારા કરવામાં આવેલી કાર્યવાહીમાં સોમવારે રાત્રિના સમયે ખંભાળિયાથી જામનગર તરફ જતા હાઈવે માર્ગ પર દેવળિયા ગામના પાટીયા પાસેથી પસાર થઈ રહેલા જી.જે. 23 એ.ટી. 1866 નંબરના એક ટ્રકને સ્ટાફના એ.એસ.આઈ. શક્તિરાજસિંહ જાડેજા તથા હેડ કોન્સ્ટેબલ સુખદેવસિંહ જાડેજાએ ચોક્કસ બાતમીના આધારે અટકાવીને ચેકિંગ કરતા આ ટ્રકમાંથી ઘઉં તથા ચોખાનો કેટલોક જથ્થો મળી આવ્યો હતો.
આથી આ ટ્રકના ચાલક એવા મુરુભા રવુભા જાડેજા (ઉ.વ. 42, રહે. સલાયા) ની પૂછપરછ કરતા આ અનાજના જથ્થા અંગે તેની પાસે કોઈ પણ પ્રકારના બિલ કે આધાર પુરાવાઓ ન હતા. આથી પોલીસે રૂપિયા 16,875 ની કિંમતના 675 કિલો ચોખા તથા રૂપિયા 8,100 ની કિંમતના 270 કિલો ઘઉંનો જથ્થો ઉપરાંત ટ્રક સહિત કુલ રૂપિયા 5,26,975 નો મુદ્દામાલ કબજે કરી અને આ પ્રકરણમાં આગળની તપાસ અર્થે આરોપી તથા મુદામાલનો કબજો ખંભાળિયા પોલીસને સોંપી, જરૂરી કાર્યવાહી કરી હતી.
આ સમગ્ર કાર્યવાહી ડીવાયએસપી વિસ્મય માનસેતા સાથે સ્ટાફના શક્તિરાજસિંહ જાડેજા, સુખદેવસિંહ જાડેજા અને ભાવિનભાઈ સચદેવ દ્વારા કરવામાં આવી હતી.


