ખંભાળિયાના વિનાયક સોસાયટી વિસ્તારમાં રહેતા ધર્મેન્દ્રસિંહ જયેન્દ્રસિંહ જાડેજા નામના 37 વર્ષના યુવાન શનિવારે રાત્રે પગપાળા ચાલીને જોગવડ ખાતે જઈ રહ્યા હતા. ત્યારે રાત્રિના આશરે દોઢેક વાગ્યાના સમયે અત્રેથી આશરે 10 કિલોમીટર દૂર દાતા ગામની ગોલાઈ પાસે આવેલા એરફોર્સ ગેઈટ નજીકથી પસાર થતી વખતે આ માર્ગ પર પૂરઝડપે અને બેફિકરાઈપૂર્વક આવી રહેલા એક અજાણ્યા મોટરકારના ચાલકે ધર્મેન્દ્રસિંહને અડફેટે લેતા તેમને શરીરના જુદા જુદા ભાગોમાં ગંભીર ઈજાઓ સાથે અહીંની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ફરજ પરના તબીબોએ તેમને મૃત્યુ પામેલા જાહેર કર્યા હતા.

અકસ્માત સર્જીને આરોપી વાહન ચાલક નાસી છૂટ્યો હતો. આ બનાવ અંગે મૃતક ધર્મેન્દ્રસિંહ જયેન્દ્રસિંહ જાડેજાના કુટુંબી ભાઈ અને નિવૃત્ત આર્મી મેન બ્રિજરાજસિંહ વિજયસિંહ જાડેજા (ઉ.વ. 37, રહે. નવાગામ ઘેડ) ની ફરિયાદ પરથી ખંભાળિયા પોલીસે અજાણ્યા વાહનચાલક સામે ભારતીય ન્યાય સંહિતા તેમજ મોટર વ્હીકલ એક્ટની જુદી-જુદી કલમ હેઠળ ગુનો નોંધી, આગળની તપાસ અહીંના પી.એસ.આઈ. ડી.એ. વાળા દ્વારા હાથ ધરવામાં આવી છે.