Tuesday, September 17, 2024
Homeખબર સ્પેશીયલ60 વર્ષના હાલારના વિજેતા ઉમેદવારો

60 વર્ષના હાલારના વિજેતા ઉમેદવારો

પબુભા માણેક સાત વખત, હેમતભાઇ માડમ, રાઘવજી પટેલ, ચિમનભાઇ શાપરીયા અને આર.સી. ફળદુ ચાર-ચાર વખત ધારાસભ્ય તરીકે વિજેતા થયા : 60 વર્ષમાં પાંચ વખત મહિલા ઉમેદવારો ધારાસભ્ય થયા

- Advertisement -

ગુજરાત વિધાનસભા-2022 ની ચૂંટણીની રાજકીય પક્ષો તડામાર તૈયારીઓ કરી રહ્યા છે. રાજ્યમાં વિધાનસભાની ચૂંટણીના પ્રથમ તબકકાની 89 બેઠકોની મતદાન પ્રક્રિયા 1 ડિસેમ્બરના રોજ યોજાનાર છે. આમ આદમી પાર્ટી દ્વારા ઉમેદવારોના નામોની યાદી જાહેર કરી છે. મોટાભાગના ઉમેદવારો જાહેર થઈ ચૂકયા છે. જ્યારે ભારતીય જનતા પાર્ટી અને કોંગે્રસના ઉમેદવારોના નામની જાહેરાત બાકી છે. જે ટૂંક સમયમાં થઈ શકે છે. આ વખતે મુખ્યત્વે ભારતીય જનતા પાર્ટી, કોંગે્રસ અને આમ આદમી પાર્ટી વચ્ચે ત્રિ-પાંખીયો જંગ જોવા મળી રહ્યો છે. રાજ્યમાં છેલ્લી છ ચૂંટણીથી ભાજપા બહુમતિ મેળવી રહી છે. આ વખતે ભાજપા દ્વારા 150 થી વધુ બેઠકો મેળવવાનો લક્ષ્યાંક રાખ્યો છે. જામનગર સહિત રાજ્યભરમાં ભાજપા દ્વારા ઉમેદવારોનું મંથન હાઈકમાન્ડ સાથે થઈ રહ્યું છે. ભાજપાનો 150 થી વધુનો લક્ષ્યાંક તેમજ કોંગે્રસે અને આમ આદમી પાર્ટીએ પણ જીતના દાવા કર્યા છે. જેની સત્ય હકીકત 8 ડિસેમ્બરે પરિણામ વખતે ખબર પડશે. પરંતુ, ભૂતકાળમાં ડોકીયું કરીએ તો છેલ્લાં 60 વર્ષ કોંગે્રસને વધુમાં વધુ 149 અને ભાજપાને વધુમાં વધુ 127 બેઠકો મળી છે. જામનગર જિલ્લાની વાત કરીએ તો અગાઉ જામનગર જિલ્લામાં જોડિયા, જામનગર, કાલાવડ, જામજોધપુર તેમજ ખંભાળિયા, દ્વારકા અને ભાણવડ સહિત હાલારપંથકમાં સાત બેઠકો હતી ત્યારબાદ સિમાકંન થતા જામનગર જિલ્લામાં પાંચ બેઠકો અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં બે બેઠકો મળી હાલારમાં સાત બેઠકો થઈ છે. વર્ષ 2012 માં સિમાંકન બાદ જામનગર ઉત્તર અને જામનગર દક્ષિણ બેઠક અસ્તિત્વમાં આવી હતી. છેલ્લી બે ચૂંટણીની વાત કરવામાં આવે તો વર્ષ 2012 માં યોજાયેલી ચૂંટણીમાં સિમાંકન બાદ સૌ પ્રથમ ચૂંટણી હોય જેમાં કોંગે્રસના ધર્મેન્દ્રસિંહ જાડેજાએ ભાજપાના પૂર્વ મંત્રી મુળુભાઈ બેરાને પરાજીત કર્યા હતાં. જ્યારે જામનગર દક્ષિણ વિધાનસભાની બેઠકમાં પ્રોફેસર વસુબેન ત્રિવેદીએ કોંગે્રસના જીતુલાલને પરાજય આપ્યો હતો. તો બીજી તરફ છેલ્લી ચૂંટણી વર્ષ 2017 માં યોજાઈ હતી. જેમાં ધર્મેન્દ્રસિંહ જાડેજાએ કોંગે્રસને ‘રામ-રામ’ કરી ‘કેસરિયો’ ધારણ કર્યો હતો અને તેમણે કોંગે્રસના જીવણભાઈ કુંભારવડિયાને પરાજય આપ્યો હતો. તો જામનગર દક્ષિણ વિધાનસભાની બેઠક ઉપર ભાજપાના આર.સી.ફળદુ એ કોંગે્રસના અશોક લાલને પરાજીત કર્યા હતાં. વર્ષ 2017 માં જામનગર શહેરની બેઠક ઉત્તર અને દક્ષિણના ધર્મેન્દ્રસિંહ જાડેજા તથા આર.સી.ફળદુ ને મંત્રી પદ મળ્યું હતું. ત્યારે આ વખતે જામનગર જિલ્લાની પાંચ વિધાનસભા બેઠકો તેમજ દ્વારકાની બે બેઠકો ઉપર ઉમેદવારોના નામને લઇને અનેક તર્ક-વિર્તક થઈ રહ્યા છે. ક્ષત્રિયોનું વર્ચસ્વ ધરાવતી જામનગર ઉત્તર વિધાનસભાની બેઠક ઉપર કોંગે્રસ દ્વારા જામનગર ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ અને પ્રદેશ કોંગે્રસ સંગઠન મહામંત્રી બિપેન્દ્રસિંહ જાડેજાને ચૂંટણી જંગમાં ઉતાર્યા છે. જ્યારે આમ આદમી પાર્ટી દ્વારા શહેર પ્રમુખ કરશન કરમુરને ટિકિટ આપી છે. ત્યારે આ બેઠક ઉપર ભાજપાના ઉમેદવારને લઇ અનેક ચર્ચા-વિચારણા થઈ રહી છે. ત્યારે હાલારની સાત બેઠક ઉપર ભાજપાના ઉમેદવારોના નામની લોકો આતુરતાપૂર્વક રાહ જોઇ રહ્યા છે. ગુજરાત વિધાનસભા-2022 ની ચૂંટણીનું પ્રથમ તબકકાનું જામનગર સહિત 89 બેઠકોનું મતદાન 1 ડિસેમ્બરે અને મત ગણતરી 8 ડિસેમ્બરે યોજાનાર છે. ત્યારે પાછલાં 60 વર્ષોના જામનગર અને દ્વારકા જિલ્લાના પરિણામો ઉપર એક નજર કરીએ તો..

- Advertisement -

વર્ષ 1962માં પાંચ બેઠકો ઉપર કોંગ્રેસનો વિજય

વર્ષ 1962 માં યોજાયેલી વિધાનસભાની ચૂંટણીમાં જામનગર જિલ્લાની જોડિયા વિધાનસભાની બેઠક ઉપર અપક્ષ ઉમેદવાર નારણદાસ પિતામ્બર રોપટએ 12859 મત મેળવ્યા હતાં. જ્યારે કોંગ્રેસના કાંતિલાલ પ્રેમચંદ શાહને 11,277 મત મળતા 1582 મતે પરાજય થયો હતો. જામનગર બેઠક ઉપર કોંગ્રેસના મંજુલાબેન જયંતીલાલ દવેને 12614 મતો મળ્યા હતાં. જ્યારે નૂતન મહા ગુજરાત જનતા પરિસાદ પાર્ટીના શાંતિલાલ હેમચંદ વસાને 12056 મતો મળતા કોંગ્રેસના મંજુલાબેનનો 558 મતે વિજય થયો હતો. કાલાવડ બેઠક ઉપર કોંગ્રેસના ભાણજી ભીમજી દુધાગરાને 16386 મતો મળ્યા હતાં. જ્યારે  સ્વતંત્ર પાર્ટીના દિગ્વીજયસિંહજી હમીરસિંહજી જાડેજાને માત્ર 4355 મતો મળતા કોંગ્રેસનો 12031 મતે વિજય થયો હતો. જામજોધપુર વિધાનસભા બેઠક ઉપર કોંગ્રેસના નાનજી દેવજી સીનોજીયાને 16563 મત મળ્યા હતાં. જ્યારે સ્વતંત્ર પાર્ટીના નવલશંકર ભગવાનજી જોશીને માત્ર 4979 મતો મળતા  કોંગ્રેસનો 11584 મતે વિજય થયો હતો. ખંભાળિયા વિધાનસભાની બેઠક ઉપર કોંગ્રેસના હરીલાલ રામજી નકુમને 13593 મતો મળ્યા હતાં. જ્યારે પ્રજા સોશિયાલીસ્ટ પાર્ટીના દ્વારકાદાસ વિઠ્ઠલાદાસ બારાઇને 5439 મત મળતા તેમનો   8154 મતે પરાજય થયો હતો. દ્વારકા વિધાનસભાની બેઠક પર કોંગ્રેસના હરીદાસ જમનાદાસ કાનાણીને 15313 મતો મળ્યા હતાં. જ્યારે અપક્ષ ઉમેદવાર રામભાઈ કારાભાઇ આહિરને 5945 મત મળતા કોંગ્રેસનો 9368 મતે વિજય થયો હતો.

- Advertisement -

વર્ષ 1967 માં ચાર બેઠકો ઉપર સ્વતંત્રતા પાર્ટી તથા 3 બેઠક પર કોંગ્રેસનો વિજય

વર્ષ 1967 માં યોજાયેલી વિધાનસભાની બેઠકમાં જોડિયા વિધાનસભામાં   સ્વતંત્રતા પાર્ટીના સી ડી ઠાકોરને 18257 મત મળ્યા હતાં. જ્યારે કોંગ્રેસના ડી.પી.વ્યાસને 17878 મત મળતા તેમનો 379 મતે પરાજય થયો હતો. જામનગર બેઠક ઉપર સ્વતંત્ર પાર્ટીના એલ. પટેલને 19492 મતો મળ્યા હતાં  જ્યારે અપક્ષ ઉમેદવારને 8424 મત મળતા તેમન 11068 મતે પરાજય થયો હતો. અલિયા બેઠક ઉપર સ્વતંત્ર પાર્ટીના એમ.બી. જોશીને 9296 મત મળ્યા હતાં. જ્યારે કોંગ્રેસના એસ.ડી. પટેલને 10863 મત મળતા તેમનો 1567 મતે વિજય થયો હતો. કાલાવડ બેઠક ઉપર સ્વતંત્ર પાર્ટીના એસ.ડી.રાવાણીને 15238 મત મળ્યા હતાં. જ્યારે કોંગ્રેસના બી.બી. પટેલને 16762 મત મળતા તેમનો 1524 મતે વિજય થયો હતો. જામજોધપુર બેઠક ઉપર સ્વતંત્ર પાર્ટીના એન.પી. ભાણવડિયાને 16304 મતો મળ્યા હતાં. જ્યારે કોંગ્રેસના એન.ડી. પટેલને 12462 મત મળતા તેમનો 3842 મતે પરાજય થયો હતો. ખંભાળિયા બેઠક ઉપર સ્વતંત્ર પાર્ટીના બી.વી. બારાઈને 9382 મત  મળ્યા હતાં. જ્યારે કોંગ્રેસના એચ.આર. નકુમને 8745 મત મળતા તેમનો 637 મતે પરાજય થયો હતો. દ્વારકા બેઠક ઉપર કોંગ્રેસના કે.જી. રાયચૂરાને 10298 મત મળ્યા હતાં. જ્યારે સ્વતંત્ર પાર્ટીના આર.કે. માડમને 8954 મત મળતા કોંગ્રેસનો 1344 મતે વિજય થયો હતો.  

- Advertisement -

વર્ષ 1972માં ચાર બેઠક કોંગ્રેસના ફાળે તો ત્રણ ઉપર અપક્ષ ઉમેદવારનો વિજય

વર્ષ 1972 માં યોજાયેલી ગુજરાત વિધાનસભાની બેઠકમાં જોડિયા વિધાનસભામાં કોંગ્રેસના મોહનલાલ ગોવિંદજી વાઘેલાને 13038 મત મળ્યા હતાં. જ્યારે અપક્ષ ઉમેદવાર ભાણજી ભીમજી પટેલને 18270 મત મળતા તેમનો 5232 મતે વિજય થયો હતો. જામનગર બેઠક ઉપર કોંગ્રેસના હમીરખા  ખતીજા અલ્લારખાને 15219 મત મળ્યા હતાં. જ્યારે અપક્ષ ઉમેદવાર લીલાધર પ્રાણજીવન પટેલને 20534 મત મળતા તેમનો 5315 મતે વિજય થયો હતો. અલિયા બેઠક ઉપર કોંગ્રેસના કે.પી. શાહને 14682 મત મળ્યા હતાં. જ્યારે અપક્ષ ઉમેદવાર પી. જાડેજા રઘુવીરસિંહ 7527 મત મળતા તેમનો 7155 મતે પરાજય થયો હતો. કાલાવડ વિધાનસભા બેઠક ઉપર કોંગ્રેસના ભીમજીભાઈ વશરામ પટેલને 21973 મત મળ્યા હતાં. જ્યારે અપક્ષ ઉમેદવાર પોપટભાઈ ભગવાનસીંગ જે. ને 12638 મત મળતા તેમનો 9335 મતે પરાજય થયો હતો. જામજોધપુર વિધાનસભા બેઠક ઉપર કોંગ્રેસના ગોરધન રવજી ફળદુને 12025 મત મળ્યા હતાં. જ્યારે વાલજી વીરજી ભદાણિયાને 6764 મત મળતા 5261 મતે પરાજય થયો હતો. ખંભાળિયા બેઠક ઉપર અપક્ષ ઉમેદવાર હેમતભાઈ રામભાઇ માડમને 15579 મત મળ્યા હતાં. જ્યારે  ઈન્ડીયન નેશનલ કોંગ્રેસ (ઓર્ગેનાઈઝેશન)ના હરીલાલ નકુમને 8379 મતો મળ્યાં હતાં. જેથી અપક્ષ ઉમેદવાર હેમતભાઈ માડમનો 7200 મતે વિજય થયો હતો. દ્વારકા બેઠક ઉપર કોંગ્રેસના ગોરિયા મારખીને 23234 મત મળ્યા હતાં. જ્યારે અપક્ષ ઉમેદવાર કેશવજી રાયચૂરાને 11117 મત મળતા તેમનો 12117 મતે પરાજય થયો હતો.


1975માં પાંચ બેઠકો ઉપર કોંગ્રેસનો વિજય

વર્ષ 1975 માં યોજાયેલી વિધાનસભાની ચૂંટણીમાં જોડિયા બેઠક ઉપર કોંગ્રેસના કાંતિલાલ પ્રેમચંદ શાહને 21497 મત મળ્યા હતાં. જ્યારે કિશાન મઝદૂર લોક પક્ષના પટેલ ભાણજી ભીમજીને 14397 મત મળતા તેમનો 7100 મતે પરાજય થયો હતો. જામનગર બેઠક ઉપર ભારતીય લોકદળના વિનોદભાઈ શેઠને 20653 મત મળ્યા હતાં. જ્યારે કોંગ્રેસના મકવાણા સુલેમાન કાસમને 12418 મત મળતા તેમનો 8235 મતે પરાજય થયો હતો. જામનગર   ગ્રામ્ય બેઠક ઉપર કોંગ્રેસના પરમાર ભાણજી કમાને 8970 મત મળ્યા હતાં જ્યારે ઈન્ડીયન નેશનલ કોંગ્રેસ (ઓર્ગેનાઈઝેશન)ના ચાવડા લલિત પુનાભાઈને 4425 મત મળતા તેમનો 4545 મતે પરાજય થયો હતો. કાલાવડ બેઠક ઉપર અપક્ષ ઉમેદવાર પટેલ ભીમજીભાઈ વશરામભાઇને 24938 મત મળ્યા હતાં. જ્યારે કોંગ્રેસના જાડેજા ઈન્દ્રસિંહ અજીતસિંહને 19786 મત મળતા 5152 મતે પરાજય થયો હતો. જામજોધપુર બેઠક ઉપર કોંગ્રેસના કાલરિયા વિઠલભાઈ પ્રેમજીભાઈને 20444 મત મળ્યા હતાં. જયારે કિશાન મઝદૂર લોક પક્ષના ભડાણિયા વિલજીભાઇ વિરજીભાઇને 14878 મત મળતા તેમનો 5566 મતે  પરાજય થયો હતો. ભાણવડ બેઠક ઉપર કોંગ્રેસના ભાટીયા સામતભાઈને 16711 મત મળ્યા હતાં. જયારે ઈન્ડીયન નેશનલ કોંગ્રેસ (ઓર્ગેનાઈઝેશન)ના રાવલિયા મેરામણ દેવાણંદને 5987 મત મળતા તેમનો 10724 મતે પરાજય થયો હતો. ખંભાળિયા બેઠક ઉપર અપક્ષ ઉમેદવાર હેમતભાઇ રામભાઈ માડમને 14086 મત મળ્યા હતાં. જ્યારે કિશાન મઝદૂર લોકપક્ષના પાબારી જમનાદાસ ગોકસદાસને 10358 મત મળતા તેમનો 3728 મતે પરાજય થયો હતો. દ્વારકા બેઠક ઉપર કોંગ્રેસના મારખીભાઈ ગોરીયાને 20409 મત મળ્યા હતાં. જ્યારે અપક્ષ ઉમેદવાર કાનાણી હરીદાસ જમનાદાસને 15125 મત મળતા તેમનો 5284 મતે પરાજય થયો હતો.


1980માં ચાર બેઠક ઉપર ઈન્ડીયન નેશનલ કોંગ્રેસ (આઈ) નો વિજય

વર્ષ 1980 માં યોજાયેલ ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં જોડિયા બેઠક ઉપર જનતા પાર્ટી (જે.પી.)ના  પટેલ ભાણજી ભીમજીને 14341 મત મળ્યા હતાં. જ્યારે અપક્ષ ઉમેદવાર માનાણી જયંતીલાલ રવજીભાઈને 13591 મત મળતા 730 મતે પરાજય થયો હતો. જામનગર બેઠક ઉપર ભાજપાના ડોકટર બસંતભાઈ સંઘવીને 9073 મત મળ્યા હતાં. જ્યારે ઈન્ડીયન નેશનલ કોંગ્રેસ (આઈ) ના એમ.કે. બ્લોચને 17022 મત મળતા તેમનો 7949 મતે વિજય થયો હતો. જામનગર ગ્રામ્ય બેઠક ઉપર ભાજપાના મકવાણા પિનાકિન ધાનાભાઈને 3821 મત મળ્યા હતાં. જ્યારે ઈન્ડીયન નેશનલ કોંગ્રેસ(આઈ) ના પરમાર ભાણજીભાઇને 11764 મત મળતા તેમનો 7943 મતે વિજય થયો હતો. કાલાવડ બેઠક ઉપર ઈન્ડીયન નેશનલ કોંગ્રેસ (આઈ) ના પટેલ છગનભાઈ મેઘજીભાઈને 19893 મત મળ્યા હતાં. જ્યાર અપક્ષ ઉમેદવાર પટેલ ભીમજીભાઈ વશરામભાઇને 27445 મત મળતા તેમનો 7552 મતે વિજય થયો હતો. જામજોધપુર બેઠક ઉપર ઈન્ડીયન નેશનલ કોંગ્રેસ (આઈ) ના પટેલ સુરેશચંદ્ર ગોવિંદભાઈને 21885 મત મળ્યા હતાં. જ્યારે જનતા પાર્ટી (એસ.સી.) ના પટેલ ચીમનભાઈ જીવાભાઈને 25638 મત મળતા તેમનો 3753 મતે વિજય થયો હતો. ભાણવડ બેઠક ઉપર અપક્ષ ઉમેદવાર મારખીભાઈ ગોરીયાને 7183 મત મળ્યા હતાં. જ્યારે ઈન્ડીયન નેશનલ કોંગ્રેસ (આઈ) ના કરંગીયા ભીમશીભાઈ ને 12253 મત મળતા તેમનો 5070 મતે વિજય થયો હતો. ખંભાળિયા બેઠક ઉપર ઈન્ડીયન નેશનલ કોંગ્રેસ (આઇ)ના તન્ના જગજીવનદાસ જમનાદાસને 18592 મત મળ્યા હતાં. જ્યારે અપક્ષ ઉમેદવાર હેમતભાઇ રામભાઈ માડમને 19152 મત મળતા તેમનો 560 મતે વિજય થયો હતો. દ્વારકા બેઠક ઉપર અપક્ષ ઉમેદવાર જાડેજા માનભા પથુભાને 14959 મત મળ્યા હતાં જ્યારે ઈન્ડીયન નેશનલ કોંગ્રેસ (આઈ) ના ત્રિવેદી લીલાબેન ગૌરીશંકરભાઈને 18475   મત મળતા તેમનો 3516 મતે વિજય થયો હતો.


1985માં કોંગ્રેસ તથા ભાજપાના ફાળે 3-3 બેઠક

વર્ષ 1985 માં યોજાયેલ વિધાનસભાની ચૂંટણીમાં જોડિયાની બેઠક ઉપર ભાજપાના કાસુન્દ્રા મગનભાઇ અંબાભાઈને 22193 મત મળ્યા હતાં. જ્યારે કોંગ્રેસના ભીમાણી ડાયાભાઈ દેવશીભાઇને 22450 મત મળતા તેમનો 257 મતે વિજય થયો હતો. જામનગર બેઠક ઉપર કોંગ્રેસના ચાકી કરીમ હાજી અહેમદને 17105 મત મળ્યા હતાં. જ્યારે ભાજપાના વસંતભાઈ સંઘવીને 28834 મત મળતા તેમનો 11729 મતે વિજય થયો હતો. જામનગર ગ્રામ્ય બેઠક ઉપર અપક્ષ ઉમેદવાર પરમાર તુલસીદાસ શિવાભાઈને 4771 મત મળ્યા હતાં. જ્યારે કોંગ્રેસના હિરાણી ભીમજીભાઈ નારણભાઇને 14906 મત મળતા તેમનો 10135 મતે વિજય થયો હતો. કાલાવડ બેઠક ઉપર કોંગ્રેસના રાઘવજી હંસરાજ મુંગરાને 19704 મત મળ્યા હતાં. જ્યારે ભાજપાના કેશુભાઇ સવદાસભાઈ પટેલને 24196 મત મળતા તેમનો 4492 મતે વિજય થયો હતો. જામજોધપુર બેઠક ઉપર જનતા પાર્ટીના કડીવાર લાલજી રતનશીને 12891 મત મળ્યા હતાં. જ્યારે કોંગ્રેસના રમેશભાઈ વિઠાભાઈ કાલરિયાને 25303 મત મળતા તેમનો 12412 મતે વિજય થયો હતો. ભાણવડ બેઠક ઉપર કોંગ્રેસના અલા કરશન કરમુરને 12131 મત મળ્યા હતાં. જ્યારે ભાજપાના મારખીભાઈ ગોરીયાને 12757 મત મળતા તેમનો 326 મતે વિજય થયો હતો. ખંભાળિયા બેઠક ઉપર કોંગ્રેસના ખીમજી નંધા જાડેજાને 21266 મત મળ્યા હતાં. જ્યારે અપક્ષ ઉમેદવાર હેમતભાઈ રામભાઈ માડમને 24385 મત મળતા તેમનો 3119 મતે વિજય થયો હતો. દ્વારકા બેઠક ઉપર કોંગ્રેસના લીલાબેન ગૌરીશંકર ત્રિવેદીને 18749 મત મળ્યા હતાં. જ્યારે અપક્ષ ઉમેદવાર પાબારી જમનાદાસ ગોકળદાસને 24601 મત મળતા તેમનો 5852 મતે વિજય થયો હતો.


વર્ષ 1990માં ત્રણ બેઠક ભાજપ ત્રણ બેઠક જનતા દળને ફાળે

વર્ષ 1990 માં યોજાયેલ વિધાનસભાની ચૂંટણીમાં જોડિયાની બેઠક ઉપર કોંગ્રેસના ભીમાણી ડાયાભાઇ દેવશીભાઇને 11889 મત મળ્યા હતાં. જ્યારે ભાજપાના કાસુન્દ્રા મગનભાઇ અમનભાઈ ને 32451 મત મળતા તેમનો 20562 મતે વિજય થયો હતો. જામનગર બેઠક ઉપર કોંગ્રેસના એન.કે.બ્લોચને 14686 મત મળ્યા હતાં. જ્યારે ભાજપાના વસંતભાઈ સંઘવીને 25708 મત મળતા 11022 મતે વિજય થયો હતો. જામનગર ગ્રામ્ય બેઠક ઉપર કોંગ્રેસના પરમાર મનજીભાઈ નથુભાઈને 9158 મત મળ્યા હતાં. જયારે જનતા દળના દિનેશભાઈ પરમારને 22828 મત મળતા તેમનો 13670 મતે વિજય થયો હતો. કાલાવડ બેઠક ઉપર કોંગ્રેસના પટેલ છગનભાઇ મેઘજીભાઇને 12396 મત મળ્યા હતાં. જ્યારે ભાજપાના રાઘવજીભાઈ હંસરાજભાઈ પટેલને 44009 મત મળતા તેમનું 31613 મતે વિજય થયો હતો. જામજોધપુર બેઠક ઉપર અપક્ષ ઉમેદવાર બારીયા હરદાસ જેઠાભાઈને 20285 મત મળ્યા હતાં. જ્યારે જનતા દળના વાછાણી મોહનલાલ કરમશીભાઇને 22850 મત મળતા તેમનો  2565 મતે વિજય થયો હતો. ભાણવડ બેઠક ઉપર કોંગ્રેસના મારખીભાઈ ગોરીયાને 15001 મત મળ્યા હતાં. જ્યારે જનતા દળના હરીલાલ જીવણદાસ લાલ (બાબુભાઈ લાલ) ને 17934 મત મળતા તેમનો 2933 મતે વિજય થયો હતો. ખંભાળિયા બેઠક ઉપર ભાજપાના તન્ના જગજીવનદાસ જમનાદાસને 15733 મત મળ્યા હતાં. જ્યારે કોંગ્રેસના વારોતરિયા રણમલભાઈને 25898 મત મળતા તેમનો 10165 મતે વિજય થયો હતો. દ્વારકા બેઠક ઉપર જનતા દળના ગોજિયા ખીમાભાઈ દેવાભાઈને 17395 મત મળ્યા હતાં. જ્યારે અપક્ષ ઉમેદવાર પબુભા વિરમભા માણેકને 25667 મત મળતા તેમનો 8272 મતે  વિજય થયો હતો.


વર્ષ 1995માં છ બેઠકો ઉપર ભાજપાનો વિજય

વર્ષ 1995માં યોજાયેલ વિધાનસભાની ચૂંટણીમાં જોડિયા બેઠક ઉપર કોંગ્રેસના પટેલ ડાયાભાઈ ખુલ્લાભાઇને 28602 મત મળ્યા હતાં. જ્યારે ભાજપાના કાસુન્દ્રા મગનભાઈ અંબાભાઈને 34061 મત મળતા તેમનો 5459 મતે વિજય થયો હતો. જામનગર બેઠક ઉપર કોંગ્રેસના કીલુભાઇ વસંતને 21215  ને મત મળ્યા હતાં. જ્યારે ભાજપાના પરમાણંદભાઈ ખટ્ટરને 32981 મત મળતા તેમનો 11766 મતે વિજય થયો હતો. જામનગર ગ્રામ્ય બેઠક ઉપર ભાજપાના કનોડિયા નરેશકુમાર મીઠાલાલને 41014 મત મળ્યા હતાં. જ્યારે કોંગ્રેસના ડો. દિનેશભાઈ પરમારને 42758 મત મળતા તેમનો 1744 મતે વિજય થયો હતો. કાલાવડ બેઠક ઉપર કોંગ્રેસના સવજીભાઈ લવજીભાઈ વસોયાને 12545 મત મળ્યા હતાં. જ્યારે ભાજપાના રાઘવજીભાઈ પટેલને 46178 મત મળતા તેમનો 33633 મતે વિજય થયો હતો. જામજોધપુર બેઠક ઉપર અપક્ષ ઉમેદવાર બારિયા હરદાસભાઈ જેઠાભાઈને 15611 મત મળ્યા હતાં. જ્યારે ભાજપાના ચિમનભાઈ સાપરિયાને 31527 મત મળતા તેમનો 15916 મતે વિજય થયો હતો. ભાણવડ બેઠક ઉપર કોંગ્રેસના પ્રવિણભાઇ હમીરભાઈ માડમને 14311 મત મળ્યા હતાં. જ્યારે ભાજપાના મુળુભાઇ બેરાને 15380 મત મળતા તેમનો 1069 મતે વિજય થયો હતો. ખંભાળિયા બેઠક ઉપર કોંગ્રેસના ડો.વારોતરિયા રણમલભાઈ નાથાભાઇને 25575 મત મળ્યા હતાં. જ્યારે ભાજપાના જશાભાઈ મારખીભાઈ ગોરિયાને 26735 મત મળતા તેમનો 1160 મતે વિજય થયો હતો. દ્વારકા બેઠક ઉપર કોંગ્રેસના કેર સદુરભા કારુભા ને 17960 મત મળ્યા હતાં. જ્યારે અપક્ષ ઉમેદવાર પબુભા માણેકને 27692 મત મળતા તેમનો 9732 મતે વિજય થયો હતો.


વર્ષ 1998માં સાત બેઠકો ઉપર ભાજપાનો કબજો : એક અપક્ષ

વર્ષ 1998માં યોજાયેલ ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં જોડિયા વિધાનસભાની બેઠક ઉપર ઓલ ઇન્ડિયા રાષ્ટ્રીય જનતા પાર્ટીમાંથી રાઘવજીભાઇ પટેલને 30114 મત મળ્યા હતાં. જ્યારે ભાજપાના કાસુન્દ્રા મગનભાઇ અંબાભાઇને 31447 મત મળતાં તેમનો 1333 મતે વિજય થયો હતો. જામનગર વિધાનસભાની બેઠક ઉપર કોંગ્રેસના કિલુભાઇ વસંતને 20646 મત મળ્યા હતાં. જ્યારે ભાજપાના પરમાણંદભાઇ ખટ્ટરને 28361 મત મળતાં તેમનો 7715 મતે વિજય થયો હતો. જામનગર ગ્રામ્ય કોંગ્રેસના ડો. દિનેશ પરમારને 34953 મત મળ્યા હતાં. ત્યારે ભાજપાના ઝાલા મનહરભાઇ વાલજીભાઇને 37371 મત મળતાં તેમનું 2418 મતે વિજય થયો હતો. કાલાવડ બેઠક ઉપર ઓલ ઇન્ડિયા રાષ્ટ્રીય જનતા પાર્ટીના કાંતાબેન રાઘવજીભાઇ પટેલને 17052 મત મળ્યા હતાં. જ્યારે ભાજપાના આર.સી. ફળદુને 40450 મળતા તેમનો 23398 મતે વિજય થયો હતો. જામજોધપુર બેઠક ઉપર કોંગ્રેસના બ્રિજરાજસિંહ જાડેજાને 28206 મત મળ્યા હતાં. જ્યારે ભાજપાના ચિમનભાઇ શાપરીયાને 35953 મત મળતાં 7747 મતે વિજય થયો હતો. ભાણવડ બેઠક ઉપર કોંગ્રેસના વિક્રમભાઇ માડમને 18979 મત મળ્યા હતાં જ્યારે ભાજપાના મુળુભાઇ બેરાને 25864 મત મળતાં 6885 મતે વિજય થયો હતો. ખંભાળિયા બેઠક ઉપર કોંગ્રેસના ડો. સાજન વારોતરીયાને 11822 મત મળ્યા હતાં. જ્યારે ભાજપાના કાળુભાઇ ચાવડાને 23039 મત મળતાં 11217 મતે વિજય થયો હતો. દ્વારકા બેઠક ઉપર ભાજપના વી.ડી. ગોજીયાને 31397 મત મળ્યા હતાં. જ્યારે અપક્ષ ઉમેદવાર પબુભા માણેકને 36618 મત મળતા તેમનો 5221 મતે વિજય થયો હતો.


વર્ષ 2002માં પાંચ બેઠક ભાજપને, 3 કોંગ્રેસને

વર્ષ 2002માં યોજાયેલી ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં જોડિયા બેઠક ઉપર કોંગ્રેસના રાઘવજીભાઇ પટેલને 41414 મત મળ્યા હતાં. જ્યારે ભાજપાના ભોજાણી પરસોતમભાઇને 43839 મત મળતાં તેમનો 2425 મતે વિજય થયો હતો. જામનગર બેઠક ઉપર અપક્ષ ઉમેદવાર કિલુભાઇ વસંતને 20552 મત મળ્યા હતાં. જ્યારે ભાજપના વસુબેન ત્રિવેદીને 25517 મત મળતાં 4965 મતે વિજય થયો હતો. જામનગર ગ્રામ્ય બેઠક ઉપર ભાજપના મનહરભાઇ ઝાલાને 50799 મત મળ્યા હતાં. જ્યારે કોંગ્રેસના ડો. દિનેશ પરમારને 53239 મત મળતાં 2440 મતે વિજય થયો હતો. કાલાવડ બેઠક ઉપર કોંગ્રેસના રાદડીયા ચેતનાબેનને 40916 મત મળ્યા હતાં. જ્યારે ભાજપાના આર.સી. ફળદુને 43467 મત મળતા 2551 મતે વિજય થયો હતો. જામજોધપુર બેઠક ઉપર કોંગ્રેસમાં બ્રિજરાજસિંહ જાડેજાને 41546 મત મળ્યા હતાં. જ્યારે ભાજપાના ચિમનલાલ શાપરીયાને 44168 મત મળતાં તેમનો 2622 મતે વિજય થયો હતો. ભાણવડ બેઠક ઉપર ભાજપાના મુળુભાઇ બેરાને 36462 મત મળ્યા હતાં. જ્યારે કોંગ્રેસના વિક્રમભાઇ માડમને 38323 મત મળતાં તેમનો 1861 મતે વિજય થયો હતો. ખંભાળિયા બેઠક ઉપર કોંગ્રેસના ડો. રણમલભાઇ વારોતરીયાને 31494 મત મળ્યા હતા. જ્યારે ભાજપાના કાળુભાઇ ચાવડાને 33367 મત મળતાં તેમનો 1873 મતે વિજય થયો હતો. દ્વારકા બેઠક ઉપર ભાજપાના અશોક લાલને 38359 મત મળ્યા હતાં. જ્યારે કોંગ્રેસના પબુભા માણેકને 44009 મત મળતાં તેમનો 5650 મતે વિજય થયો હતો.


વર્ષ 2007માં 6 બેઠક ભાજપને ફાળે

વર્ષ 2007માં યોજાયેલી વિધાનસભાની ચૂંટણીમાં જોડિયા બેઠક ઉપર ભાજપાના બાબુભાઇ ઘોડાસરાને 42396 મત મળ્યા હતાં. જ્યારે કોંગ્રેસના રાઘવજીભાઇ પટેલને 47589 મત મળતા 5193 મતે વિજય થયો હતો. જામનગરની બેઠક ઉપર કોંગ્રેસના જીતુ લાલને 31941 મત મળ્યા હતાં. જ્યારે ભાજપાના પ્રો. વસુબેન ત્રિવેદીને 33021 મત મળતાં 1080 મતે વિજય થયો હતો. જામનગર ગ્રામ્ય બેઠક ઉપર કોંગ્રેસના ડો. દિનેશ પરમારને 58182 મત મળ્યા હતાં. જ્યારે ભાજપાના લાલજીભાઇ સોલંકીને 68063 મત મળતાં તેમનો 9881 મતે વિજય થયો હતો. કાલાવડ બેઠક ઉપર કોંગ્રેસના જે.ટી. પટેલને 33225 મત મળ્યા હતાં. જ્યારે ભાજપાના આર.સી. ફળદુને 39497 મત મળતાં 6272 મતે વિજય થયો હતો. જામજોધપુર બેઠક ઉપર ભાજપાના ચિમનભાઇ શાપરીયાને 43237 મત મળ્યા હતાં. જ્યારે કોંગ્રેસના બ્રિજરાજસિંહ જાડેજાને 43254 મત મળતાં 17 મતે વિજય થયો હતો. ભાણવડ બેઠક ઉપર કોંગ્રેસના કનારા હમીરભાઇને 28059 મત મળ્યા હતા. જ્યારે ભાજપાના મુળુભાઇ બેરાને 41950 મત મળતાં તેમનો 13891 મતે વિજય થયો હતો. ખંભાળિયા બેઠક ઉપર કોંગ્રેસના ડો. રણમલભાઇ વારોતરીયાને 39560 મત મળ્યા હતાં. જ્યારે ભાજપાના મેઘજીભાઇ કણઝારીયાને 40358 મત મળતાં 798 મતે વિજય થયો હતો. દ્વારકા બેઠક ઉપર કોંગ્રેસના સુમાણીયા પતરામલભાને 29590 મત મળ્યા હતાં. જ્યારે ભાજપાના પબુભા માણેકને 40243 મત મળતાં 10653 મતે વિજય થયો હતો.


વર્ષ 2012માં પાંચ બેઠક પર ભાજપ, બે બેઠક પર કોંગ્રેસનો વિજય

વર્ષ 2012માં યોજાયેલી ચૂંટણીમાં કાલાવડ બેઠક ઉપર કોંગ્રેસના ડો. દિનેશ પરમારને 42908 મત મળ્યા હતાં. ભાજપાના મેઘજીભાઇ ચાવડાને 49027 મત મળતા 6119 મતે વિજય થયો હતો. જામનગર ગ્રામ્ય બેઠક ઉપર ભાજપાના આર.સી. ફળદુને 57195 મત મળ્યા હતાં. જ્યારે કોંગ્રેસના રાઘવજીભાઇ પટેલને 60499 મત મળતા 3304 મતે વિજય થયો હતો. જામનગર ઉત્તર બેઠક ઉપર ભાજપાના મુળુભાઇ બેરાને 52194 મત મળ્યા હતાં. જ્યારે કોંગ્રેસના ધર્મેન્દ્રસિંહ જાડેજાને 61642 મત મળતાં 9448 મતે વિજય થયો હતો. જામનગર દક્ષિણ બેઠક ઉપર કોંગ્રેસના જીતુ લાલને 53032 મત મળ્યા હતાં. જ્યારે ભાજપાના વસુબેન ત્રિવેદીને 55894 મત મળતાં 2862 મતે વિજય થયો હતો. જામજોધપુર બેઠક ઉપર કોંગ્રેસના હરદાસભાઇ ખવાને 47204 મત મળ્યા હતાં. જ્યારે ભાજપાના ચિમનભાઇ શાપરીયાને 75395 મત મળતાં 28191 મતે વિજય થયો હતો. ખંભાળિયા બેઠક ઉપર કોંગ્રેસના એભા કરશન કરમુરને 40705 મત મળ્યા હતાં. જ્યારે ભાજપાના પૂનમબેન માડમને 79087 મત મળતા 38382 મતે વિજય થયો હતો. દ્વારકા બેઠક ઉ5ર કોંગ્રેસના મુળુભાઇ કંડોરીયાને 64446 મત મળ્યા હતાં. જ્યારે ભાજપાના પબુભા માણેકને 70062 મત મળતાં 5616 મતે વિજય થયો હતો.


વર્ષ 2017માં ચાર બેઠક કોંગ્રેસને તથા ત્રણ બેઠક ભાજપને

વર્ષ 2017માં યોજાયેલી ચૂંટણીમાં કાલાવડ બેઠક પર ભાજપના મુળજીભાઇ હેરડાને 45134 મત મળ્યા હતાં. જ્યારે પ્રવિણભાઇ મુછડીયાને 78085 મત મળતા તેનો વિજય થયો હતો. જામનગર ગ્રામ્ય બેઠક ઉપર ભાજપાના રાઘવજીભાઇ પટેલને 64353 મત મળ્યા હતાં. જ્યારે કોંગ્રેસના વલ્લભભાઇ ધારવીયાને 70750 મત મળતા તેમનો વિજય થયો હતો. જામનગર ઉત્તર બેઠક ઉપર કોંગ્રેસના જીવણભાઇ કુંભરવડીયાના 43364 મત મળ્યા હતાં. જ્યારે ભાજપાના ધર્મેન્દ્રસિંહ જાડેજાને 84327 મત મળતા તેમનો વિજય થયો હતો. જામનગર દક્ષિણ બેઠક ઉપર કોંગ્રેસના અશોક લાલને 55369 મત મળ્યા હતાં. જ્યારે ભાજપાના આર.સી. ફળદુને 71718 મત મળતા તેમનો વિજય થયો હતો. જામજોધપુર બેઠક ઉપર ભાજપાના ચીમનભાઇ શાપરીયાને 61694 મત મળ્યા હતાં. જ્યારે ચિરાગ કાલરીયાને 64212 મત મળતા તેમનો વિજય થયો હતો. ખંભાળિયા બેઠક ઉપર ભાજપાના કાળુભાઇ ચાવડાને 68733 મત મળ્યા હતાં. જ્યારે કોંગ્રેસના વિક્રમભાઇ માડમને 79779 મત મળતાં તેમનો વિજય થયો હતો. દ્વારકા બેઠક ઉપર કોંગ્રેસના મેરામણભાઇ મારખીને 67692 મત મળ્યા હતાં. જ્યારે ભાજપાના પબુભા માણેકને 73431 મત મળતા તેમનો વિજય થયો હતો.

–સૂચિત બારડ (ખબર ગુજરાત)

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular