પ્રથમ જ્યોતિર્લિંગ દેવાધિદેવ શ્રી સોમનાથ મહાદેવના પાવન સાન્નિધ્યમાં વર્ષ 2025નો અંતિમ સૂર્ય અસ્ત થયો. માનવજાતિના એક સફળ અને સંઘર્ષસભર વર્ષના સમાપન સાથે, સમય જાણે ક્ષણભર માટે થંભી ગયો હોય એવી દિવ્ય અનુભૂતિ સર્જાઈ.
તારામંડળ સુધી પોતાની આભા વિસ્તરાવતું સોમનાથ મંદિરનું ગૌરવશાળી શિખર, સનાતનની અડગતા દર્શાવતો કેસરિયા રંગે રંગાયેલો આકાશ, અને પ્રચંડ પવનના વેગે દેવદત્ત શંખની ગુંજ સમાન ફરકતો રેશમી ધ્વજ—આ સમગ્ર દૃશ્ય સોમનાથની શાશ્વતતા અને અવિરતતા ઘોષિત કરી રહ્યું હતું. દેવાધિદેવ મહાદેવના ચરણ પખારતો રત્નાકર સમુદ્ર (અરબ સાગર) સૂર્યાસ્ત સમયે એવું લાગતું હતું કે જાણે સમુદ્ર સૂર્યને પોતાના હૃદયમાં સમાવી રહ્યો હોય.
View this post on Instagram
શ્રી સોમનાથ મહાદેવના ચરણોમાં પરમ શાંતિ પ્રાપ્ત કરતાં, અસ્ત થતા સૂર્ય સાથે ભક્તોએ પોતાની ભૂતકાળની વ્યર્થ અપેક્ષાઓ અને નિરાશાઓને પણ વિસર્જિત કરી દીધી.
દરેક પ્રભાતે ઉગતા સૂર્યની જેમ, નવી ચેતના, નવઉર્જા અને અખૂટ ઉત્સાહ સાથે વર્ષ 2026ને સ્વીકારવા માટે ભક્તોએ દ્રઢ પ્રેરણા મેળવી. સુખ-દુખ, ઉત્સાહ-નિરાશા—આ તમામથી પરે યોગરાજ દેવાધિદેવ મહાદેવના સોમનાથ દર્શન આત્મખોજ તરફ દોરી રહ્યા છે. તેઓ ભક્તોના ખોવાયેલા તેજને પુનઃ પ્રગટ કરે છે, દરેક સંકલ્પને સિદ્ધિ તરફ દોરી જાય છે અને દરેક યાત્રાને વિજય સુધી પહોંચાડે છે.
દરેક નવી શરૂઆત ‘જય સોમનાથ’ના ઉદ્ઘોષ સાથે થાય, અને જનકલ્યાણ તથા રાષ્ટ્રહિત માટે સૌ અવિરત કર્મરત રહે—એવી પ્રાર્થના મહાદેવના ચરણોમાં અર્પણ કરવામાં આવી.


