જામજોધપુર માર્કેટિંગ યાર્ડમાં પાણીની લાઇન અચાનક તૂટી જતાં રસ્તા વચ્ચે ઉતારેલ સોયાબીનની જણસો પલળી જતાં ખેડૂતોને નુકસાન થયું હતું. યાર્ડના સેક્રેટરી દ્વારા ટ્રેકટરના વજનથી લાઇન તૂટી હોવાનું જણાવી તાત્કાલિક મોટર બંધ કરાવી હતી. જ્યારે બીજીતરફ પૂર્વ ધારાસભ્ય અને યાર્ડના પૂર્વ હોદ્ેદારે યાર્ડના વહીવટ સામે સવાલ ઉઠાવ્યા હતાં.
હાલના દિવસોમાં જામજોધપુર માર્કેટિંગ યાર્ડમાં મગફળી, સોયાબીન, કપાસ સહિતની જણસોની ભારે આવક શરુ થઇ છે. ત્યારે યાર્ડમાં પુરતા પ્લેટફોર્મના અભાવે જણસીઓને રસ્તા વચ્ચે ઢગલારૂપે ખુલ્લામાં રાખવામાં આવે છે. આ દરમિયાન ગઇકાલે યાર્ડમાં પાણીની પાઇપલાઇન તૂટતાં મોટા પ્રમાણમાં પાણી વ્હેવા લાગ્યું હતું. પાણી વ્હેવાને કારણે ખુલ્લામાં પડેલો સોયાબીનનો જથ્થો પલળવા લાગ્યો હતો. આ અંગે યાર્ડના સેક્રેટરીને જાણ કરાતાં પાણીની મોટર તાત્કાલિક બંધ કરાવતાં પાણી વ્હેતુ બંધ થયું હતું. જો કે, જણસો પલળી જતાં ખેડૂતો અને વેપારીઓ એકઠા થઇ ગયા હતાં.
આ અંગે સેક્રેટરી જશ્મીનભાઇએ જણાવ્યું હતું કે, ટ્રેકટરના ભારથી પાઇપલાઇન તૂટવાથી આ ઘટના બની હતી. જ્યારે આ અંગે જામજોધપુરના પૂર્વધારાસભ્ય અને યાર્ડના પૂર્વહોદ્ેદાર ચિરાગ કાલરીયાએ જણાવ્યું હતું. કે, યાર્ડમાં પ્લેટફોર્મની જરુરીયાત છે. પ્લેટફોર્મના અભાવે ખુલ્લામાં જણસીઓ રાખવી પડે છે. જો પ્લેટફોર્મ પર જણસીઓ હોત તો આ ઘટના ન બનત. યાર્ડમાં ખેડૂતો તેમજ વેપારીઓની સગવડતાં માટે સુધારો કરવો જરુરી છે.