જામનગર સંસદીય મત વિસ્તારમાં તાજેતરમાં થયેલ કમોસમી વરસાદથી ખેડૂતોના પાકને થયેલ નુકશાનનું વળતર આપવા સાંસદ પૂનમબેન માડમ દ્વારા મુખ્યમંત્રીને પત્ર લખી રજૂઆત કરવામાં આવી છે.
સાંસદ પૂનમબેન માડમ દ્વારા મુખ્યમંત્રીને કરાયેલ રજૂઆતમાં જણાવ્યું છે કે તાજેતરમાં સૌરાષ્ટ્ર વિસ્તારમાં પડેલ કમોસમી ભારે વરસાદની સાથે 12 જામનગર સંસદીય મત વિસ્તારના જામનગર, દ્વારકા અને મોરબી જિલ્લાના આમરણ (ચોવીસી) વિસ્તારમાં ગત નવરાત્રી સમયે અને તાજેતરમાં થયેલ કમોસમી વરસાદને કારણે ખેડૂતોનો તૈયાર પાક પલળી જઇ નિષ્ફળ ગયો છે. તેમજ ખેતરોમાં ઉભા પાકને પણ ખૂબ જ નુકશાન થયું છે. આ કમોસમી વરસાદના કારણે મોટાભાગના ખેડૂતોનો ખરીફ પાક નિષ્ફળ ગયો છે. જેનાથી ખેડૂતોને ખૂબ જ નુકશાની થઇ છે.
વધુમાં તેમણે જણાવ્યું છે કે તેમના સંસદીય મત વિસ્તારમાં રાજ્યનો સૌથી વધુ લાંબો દરીયા કાંઠો આવેલ છે અને આ વિસ્તારમાં મુખ્ય પાક મગફળી અને કપાસ છે. તદઉપરાંત અન્ય પાકોને પણ સપ્ટેમ્બર 2025 તથા ચાલુ માસમાં તા.25-10-2025થી આવેલ સતત કમોસમી વરસાદના કારણે ભારે નુકશાન થયું છે. તેમજ ખેડૂતોનો પાક નિષ્ફળ ગયો હોય પશુઓ માટેના સુકા ઘાસચારા પણ પલળીને નાશ પામ્યા છે. તેના કારણે ખેડૂતોનું આર્થિક બજેટ ખોરવાઇ ગયું છે. આથી હાલના કમોસમી વરસાદના કારણે ખેડૂતોના પાકને થયેલ નુકશાની અંગેનો સર્વે કરાવી ખેડૂતોને થયેલ પાક નુકશાની માટે ખાસ આર્થિક રાહત પેકેજ તાત્કાલીક જાહેર કરવા માંગણી કરી છે.


